રાજકોટના મોતીસર સહિત સૌરાષ્ટ્રના ૭ ડેમો છલોછલઃ ૧૫ ડેમો છલકાવાની તૈયારીમાં
૨૨ ડેમોમાં ૮૦ થી ૧૦૦ ટકા પાણીઃ ૧૦૦થી વધુ ડેમોમાં માંડ ૨૦ ટકા પાણી
રાજકોટ તા.૧૯: રાજકોટ તથા દક્ષિણ ગુજરાતમાં તો મેઘાની એટલી મહેર થઇ છે કે, નદીઓ જ નહીં, ડેમોય વરસાદી પાણીથી જીવંત બન્યા છે. ભારે વરસાદને લીધે ૧૩ ડેમો સંપૂર્ણપણે ભરાયા છે. જયારે પ ડેમોને એલર્ટ અપાયું છે. અન્ય ૧૩ ડેમોને વોનિંર્ગ અપાઇ છે. ભરૂચનો ઢોળી ડેમ, તાપીનો ડોસવાડા ડમ, ભાવનગરનો બાવડ ડેમ અને રોઝડી ડેમ, જામનગરનો પુના અને ઉંડ-ર ડેમ, ગીર સોમનાથનો હિરણ-ર ડેમ સંપૂર્ણપણે ભરાયા છે. આ ઉપરાંત ગીર સોમનાથનો મછુન્દ્રી ડેમ, રાજકોટનો મોતીસર ડેમ પણ ભરાયો છે, નવસારીનો ઝુઝ, કેલિયા ડેમ, અમરેલીનો વાડિયો ડેમ ભરાયા છે. આ તમામ ડેમોને હાઇએલર્ટ પર મુકાયા છે. અમરેલીના રાયડી, ધંતારવાડી, જામનગરના ફુલઝર, ગીરસોમનાથના શિંગોડા, રાવલ, જુનાગઢના ઓઝત -ર મધુવંતી, ધ્રાફડ, બાંટવાખેરો, મોટા ગોજારીયો, રાજકોટના ન્યારી-ર, આજી-ર, સુરવો, ફોફળ અને પોરબંદરના સારણ ડેમો હવે છલકાવાની તૈયારીમાં છે. જોકે હજુ ગુજરાતના એક મોટા હિસ્સામાં વરસાદ વરસ્યો નથી જેના લીધે ૧૦૦ ડેમો એવા છે કે જેમાં માત્ર ૨૫ ટકા કરતાંય ઓછું પાણી છે. અત્યારે રર ડેમોમાં ૮૦ થી ૧૦૦ ટકા પાણી છે જયારે ૨૮ ડેમોમાં ૫૦ થી ૭૦ ટકા પાણી છે.