રાજકોટ
News of Tuesday, 19th June 2018

રવિવારે રામકૃષ્ણ આશ્રમ ખાતે સર્વધર્મ પરિસંવાદ

વિશ્વ શાંતિ માટે સર્વધર્મ સમન્વયની વાત વિવેકાનંદજીએ કરી હતી એ આજે પણ ઉપયોગી છેઃ નિખિલેશ્વરાનંદજી : રાજયપાલના હસ્તે ઉદઘાટનઃ ઇસ્લામ ધર્મ અંગે સામી બુશરે, જૈન ધર્મ અંગે સાધ્વી શીલાપીજી, શીખ ધર્મ અંગે બીબી કિરણજી, બૌધ્ધ ધર્મ અંગે ગેશે નાગવાન, ખ્રિસ્તી ધર્મ અંગે આર્ય બિશપ થોમસ અને હિન્દુ ધર્મ અંગે સ્વામી શ્રધ્ધાનંદજી પ્રવચનો આપશેઃ ટોરેન્ટોમાં યોજાનાર વિશ્વધર્મ પરિષદના ભાગરૂપે રાજકોટમાં આયોજન

પત્રકાર પરિષદ સંબોધતા પૂ. નિખિલેશ્વરાનંદજી નજરે પડે છે. (તસ્વીર.સંદીપ બગથરીયા)

રાજકોટ, તા.૧૯: વિશ્વશાંતિ માટે પૂ. સ્વામી વિવેકાનંદજીએ સર્વધર્મ સમન્વયની વાત કરી હતી અને આજના સમયમાં પ્રસ્તુત છે કે આ શબ્દો રાજકોટ રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીના છે.

રામકૃષ્ણ આશ્રમ આ રાજકોટમાં સર્વધર્મ પરિષદનું આયોજન થયું છે. આ અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં સ્વામીજી એ વિગતો આપી હતી.

સ્વામી વિવેકાનંદજીએ ૧૨૫વર્ષ પહેલા શિકાગોમાં સર્વ પ્રથમ ધર્મ પરીષદમાં અભૂતપૂર્વ વ્યાખ્યાન આપ્યું હતું તેની ૧૨૫મી જયંતિના ભાગરૂપે શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. 'ઇન્ટરફેથ હારમોની ઓન ગ્લોબલ સિવિલાઇઝેશન'- 'વૈશ્વિક સભ્યતા માટે સર્વ ધર્મ સમન્વયની આવશ્યકતા' વિષય પર શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા એક દિવસીય પરિસંવાદનું આયોજન રવિવાર ૨૪ જૂનના રોજ સવારના ૯ થી સાંજના ૬ સુધી યોજવામાં આવ્યું છે. વિશ્વ ધર્મ પરિષદની પૂર્વભૂમિકા રૂપે આ એક દિવસીય પ્રી પાર્લામેન્ટમાં દેશભરના વિવિધ ધર્મ-સંપ્રદાયના પ્રતિનિધિ ઉપસ્થિત રહેવાના છે. આ સેમીનારનું ઉદઘાટન ગુજરાતના રાજયપાલશ્રી ઓ.પી. કોહલીના વરદ હસ્તે થશે. રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ પૂજય સ્વામી ગૌતામાનંદજી મહારાજ આ સેમિનારના પ્રથમ સત્રની અધ્યક્ષતા કરશે.

સેમિનારની પૂર્વભૂમિકાના ભાગરૂપે પ્રાર્થના સત્ર રાખવામાં આવેલ છે. જેમાં વિવિધ ધર્મના અનુયાયીઓ પોતે પોતાના ધર્મની પ્રાર્થનાઓ રજૂ કરશે. આ માટે વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રીલીજીયન્સ કમિટીના ટ્રસ્ટી ડોકટર ભદ્રાબેન શાહ અમેરિકાથી ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ડોકટર જયેશભાઇ શાહ જેઓ વર્લ્ડ પાર્લામેન્ટના એમ્બેસડર છે. તેઓ પણ વડોદરાથી આ માટે ખાસ પધારવાના છે. પ્રથમ સત્રની અધ્યક્ષતા બેલૂર મઠના આચાર્ય પૂજય સ્વામી ગૌતમાનંદજી મહારાજ કરશે અને એ સત્રમાં વિવિધ ધર્મના પ્રતિનિધિઓ પોત-પોતાના ધર્મ પ્રમાણે કેવી રીતે સંવાદિતા સાધી શકાય અની વાતો રજૂ કરશે. વર્લ્ડપીસ કાઉન્સિલ ઇન્ડિયાના પ્રેસીડેન્ટશ્રી સામી બુબેરે, મુંબઇથી પધારશે જેઓ ઇસ્લામ ધર્મ વિશે વાતો કરશે. વિરાયતન વિદ્યાપીઠ કચ્છના સંસ્થાપિકા સાધ્વી શીલાપીજી જૈન ધર્મ વિશે વાત કરશે. બીબી કિરણ જોધપુર એક જનરલ સેક્રેટરી શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમિટી અમૃતસરથી ખાસ આવી રહ્યા છે તે વિશે વાતો કરશે. વારાણસીના સેન્ટ્રલ ઇન્સ્ટિટયૂટ ઓફ હાયર તિબેટીયન સ્ટડીઝના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ગેશે  નાગવાન સામટેન બૌદ્ધ ધર્મની વાતો કરશે. મુંબઇના શ્રી યઝદી પંથકી, પારસી ધર્મ વિશે વાતો કરશે. ગાંધીનગરના આર્યબિશપ થોમસ ખ્રિસ્તી ધર્મ વિશેની વાતો કરશે. મુખ્યાલય બેલુર મઠના આચાર્ય સ્વામી શ્રદ્ધાનંદજી હિંદુ ધર્મ વિશેની વાતો કરશે. વિશ્વ ધર્મ પરિષદ આ વર્ષ ટોરંટોમાં એકથી સાત નવેમ્બરમાં યોજાવાની છે તેના વિશેની વાતો થશે અને એ સિવાય ઘણી બધી રસપ્રદ માહિતીઓ ઓડિયો વિઝયુઅલ દ્વારા રજૂ કરવામાં આવશે દ્ધિતીયસત્રમાં શિક્ષણ અને મીડિયાનો સર્વ ધર્મ સમન્વય માનવામાં શું ભૂમિકા એની હોઇ શકે એ વિશેનું સત્ર રહેશે જેમાં અજય ઉમટ નવગુજરાત સમય અમદાવાદના ચીફ એડિટર તેમજ પ્રોફેસર જે.એસ રાજપુત એનસીઆરટીના ડાયરેકટર આ વિષય પર પોતાના વિચારો રજૂ કરશે છેલ્લા સત્રમાં પ્રતિનિધિઓમાંથી કેટલાક પ્રતિનિધિઓ પોતાના પ્રતિભાવો રજૂ કરશે તેમ જ ટોરંટોમાં યોજાનારી પાલોમેન્ટરીમાં હાજર રહેવા માટેના રજીસ્ટ્રેશનની વિશેષ માહિતી આપવામાં આવશે.

આ સેમીનારમાં ભાગ લેવા માટેની વિગતો શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ ડોટ ઓઆરજી પર ઉપલબ્ધ છે. આ સેમિનારનો લ્હાવો લેવા માટે હાર્દિક આમંત્રણ છે. વહેલા તે પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે વધુ વિગતો માટે શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટનો સંપર્ક થઇ શકે છે.

(4:03 pm IST)