હળવદ 'ડબલ મર્ડર'ના આરોપીની આગોતરા જામીન અરજી મંજુર
રાજકોટ તા ૧૯ : હળવદ ડબલ મર્ડરના કેસમાં અદાલતે આરોપીઓ પૈકીના રૂષિરાજસિંહ દિલીપસિંહ જાડેજાએ સંભવિત ધરપકડ સામે આગોતરા જામીન મેળવવા કરેલ અરજીને મોરબીની સેશન્સ કોર્ટે મંજુર કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે તા. ૧૩/૭/૨૦૧૭ ના રોજ ફરીયાદી રામભાઇ રેવાભાઇ ભરવાડે ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદની વિગત મુજબ દરબાર લોકોના ટોળાએ ભેગા થઇને ગોપાલધામ મંદિરે દર્શન કરવા ભરવાડ લોકો ભેગા થયેલ ત્યારે લાકડી, પાઇપ, તલવાર, છરી, પીસ્તોલ જેવા હથીયારો વડે હુમલો કરેલ જેમાં રાણી ભાણુ ભરવાડ અને ખેતા નાગજી નું મોત નિપજતા ડબલ મર્ડર નો ગુનો દાખલ થયેલ હતો.
આ કામના નાસતા ફરતા આરોપી રૂષિરાજસિંહ દિલીપસિંહ જાડેજા એ પોતાની સંભવિત ધરપકડથી બચવા પોતાના વકિલ મારફત મોરબી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલી.
બંને પક્ષની દલીલો, પોલીસના સોગંદનામા, ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ કેસના સંજોગો વિગેરે બાબતો ધ્યાને લઇ મોરબીના મહે. સેશન્સ જજ સાહેબે આરોપી રૂષિરાજસિંહ દિલીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી મંજુર થયેલ છે.
આ કામના આરોપી વતી રાજકોટના વકીલશ્રી રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, કુલદીપસિંહ જાડેજા, તથા હનીફભાઇ કટારીયા, દિપકભાઇ ભાટીયા વિગેરે રોકાયેલા હતા.