ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં મુકેશ અને માતા જયાબેન પર હુમલો
માંડા ડુંગર નજીક આવેલી માધવવાટીકા સોસાયટીમાં બનાવ : આજીડેમ પોલીસે અનિલ તથા અજય કોળી વિરૃધ્ધ ગુનો દાખલ કર્યો
રાજકોટ તા. ૧૯: આજીડેમ ચોકડી નજીક માંડાડુંગર પાસે માધવ વાટીકા-૫માં રહેતાં મુકેશ રમેશભાઇ ઉતેરીયા (ઉ.૩૩) અને મંછાનગરમાંથી તેના ઘરે આવેલા તેના માતા જયાબેન રમેશભાઇ ઉતેરીયા (ઉ.૫૫) પર પડોશમાં રહેતાં અનિલ, અજય સહિતે પાઇપ છરીથી હુમલો કરી ઇજા પહોંચાડતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. મુકેશભાઇના સગા વિપુલભાઇના કહેવા મુજબ મુકેશભાઇ ઘર નજીક અનાજ દળવાની ઘંટી ચલાવે છે. ગઇકાલે તે તથા માતા જયાબેન સહિતના પરિવારજનો જુની ગાડી લીધી હોઇ માતાજીના દર્શન કરી પરત આવ્યા હતાં. આ વખતે અનાજની ઘંટીએ મુકેશના પત્નિ રંજનબેને બેઠા હતાં. ત્યાં નજીકમાં અનિલ, અજય સહિતના ગાળો બોલતા હોઇ તેણીએ ના પાડતાં બંનેએ ઝઘડો ચાલુ કરતાં મુકેશ અને તેના માતા છોડાવવા જતાં તેમના પર હુમલો થયો હતો. આજીડેમના એએસઆઇ વી. બી. સુખાનંદીએ મુકેશની ફરિયાદ પરથી અનિલ, અજય સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ કરી છે.
સામા પક્ષે અનિલ અને વિજય પરમારને પણ ઇજા
સામા પક્ષે અનિલ ધનજીભાઇ પરમાર (ઉ.૧૮) અને વિજય ધનજીભાઇ પરમાર (ઉ.૨૩) પણ પોતાના પર રાતે દસેક વાગ્યે ઘર પાસે હુમલો થયાની રાવ સાથે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતાં.