રિક્ષાનો ઉપયોગ કરી ગુના આચરવામાં ન આવે તે માટે શહેર પોલીસની ખાસ ઝુંબેશ
એસીપી ટ્રાફિક વી. આર. મલ્હોત્રાની રાહબરીમાં રિક્ષામાં ટી-નંબર, વાહન ચાલકના નામ-સરનામા, પોલીસ કન્ટ્રોલ રૃમના નંબરો લગાડવાની કાર્યવાહી
રાજકોટઃ શહેરમાં ઓટો રિક્ષામાં મુસાફરી કરતાં નાગરિકો સાથે છેતરપીંડી, ખિસ્સા કાપવાના બનાવ, મોબાઇલ ફોન તથા બીજી કિંમતી ચીજવસ્તુઓ સહિતના સામાનની ચોરી, ચિલઝડપ, લૂંટ, ધાડ, મહિલા બાળકોની છેડતી, અપહરણ સહિતના બનાવો ન બને એ માટે શહેર પોલીસ દ્વારા ઓટો રિક્ષાના નંબરોની નોંધણી, વાહન ચાલક-માલિકના નામ સરનામા અને પોલીસ કન્ટ્રોલ રૃમનો ફોન નંબર સહેલાઇથી જોઇ શકાય એ માટેનું આયોજન કરાયું છે. તે મુજબ રિક્ષાઓમાં ચાલકની પાછળના ભાગે રિક્ષાનો રજીસ્ટ્રેશન નંબર, વાહન ચાલકનું નામ-સરનામુ, સંપર્ક નંબર અને ટી-નંબર ફરજીયાત લખવાના રહેશે. આ માટે શહેર ટ્રાફિક શાખા દ્વારા કામગીરી થઇ રહી છે. જે રિક્ષામાં ટી નંબર લખાવવાના બાકી હતાં તેવા ૮૦ રિક્ષા ચાલકોને શિતલ પાર્કના ટોઇંગ સ્ટેશન ખાતે પહોંચી નંબર લગાવી આપવાની કામગીરી પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણાની રાહબરી હેઠળ એસીપી ટ્રાફિક વી. આર. મલ્હોત્રાના માર્ગદર્શન હેઠળ થઇ હતી.