મકાનવેરાના ચેક રીટર્ન થયા હોય તેવા કરદાતાઓને ફોજદારીની નોટીસ : ધડાધડ ૬૦ લાખની આવક
૨૩૦ પૈકી ૧૩૮ મકાનધારકોએ વેરો ભર્યોઃ હજુ ૭ લાખ બાકી
રાજકોટ,તા.૧૮: મ્યુ.કોર્પોરેશન દ્વારા મકાનવેરાનાં ચેક રિર્ટન થયા હોય તેવા કરદાતાઓને ફોજદારીની નોટીસ આપવામાં આવતા ૨૩૦ પૈકી ૧૩૮ મકાનધારકોએ રૂ.૬૦ લાખ વેરો ભરી દીધો છે.
આ અંગેની પ્રાપ્ત માહિત મુજબ મ્યુ. કોર્પોરેશનની આર્થિક કરોડરજ્જુ સમાન મકાનવેરાની આવક માટે તંત્ર દર વર્ષે માર્ચ એન્ડીગમાં મિલ્કતો સીલ, નળકપાત, હરરાજી સહીતની કડક વેરા વસુલાત ઝુંબેશ દિવસ-રાત એક કરીને હાથ ધરે છે. પરંતુ અંતે બધુ દળી દળીને ઢાંકણીમાં જેવી સ્થિતિ સર્જાઇ છે. કેમ કે બાકીવેરા માટે જે ચેક લેવામાં આવ્યા હોય છે તે રિટર્ન થવાની ફરીયાદો વ્યાપક બની હતી. માર્ચ મહિનામાં વેરા શાખામાં અંદાજીત રૂ.૭૦ લાખના ૨૩૦ ચેક રીટર્ન થયા હતા. આ ચેક રીર્ટન થયા હોય તેવા કરદાતાઓને તંત્ર દ્વારા ફોજદારીની નોટીસ ફટકારવામાં આવી હતી. નોટીસ બાદ ૧૩૭ મકાન ધારકોએ રૂ.૬૦ લાખનો વેરો ભર્યો છે. હજુ રૂ.૧૦ લાખનો વેરો બાકી છે.