રાજકોટ
News of Tuesday, 19th March 2019

હોળી-ધૂળેટી પર્વ સંદર્ભે એસટી રાજકોટ સહિત રાજયભરમાંથી ૭૦૦ એકસ્ટ્રા બસો દોડાવશેઃ અમદાવાદથી ૪૦૦ બસ

ઉતરભારત-લાંબા અંતરની ટ્રેનો હાઉસફુલઃ ૩૦૦ સુધીનું વેઇટીંગઃ ખાનગી ટ્રાવેલ્સો પણ મેદાનમાં

રાજકોટ, તા., ૧૯: ધુળેટી મનાવવા અમદાવાદ સહીત રાજયના જુદા જુદા વિસ્તારમાંથ મોટા પ્રમાણમાં લોકો પોતાના વતન જતા માટે સરળ વાહનવ્યવહારની સુવિધા મળી રહે તે માટે અમદાવાદથી ર૦૦ અને રાજયભરમાંથી ૭૦૦ થી વધુ એકસ્ટ્રા બસો દોડાવવાની તૈયારી કરી લીધી છે. રાજકોટથી દરરોજ રપ થી વધુ એકસ્ટ્રા બસો તહેવાર સંદર્ભે દોડાવાઇ રહ્યાનું ડિવીઝનલ નિયામક શ્રી દિનેશ જેઠવાએ ''અકિલા''ને ઉમેર્યુ હતું.

આગામી તારીખ ર૧ માર્ચના રોજ ધુળેટીનું પર્વ છે ત્યારે આવતી કાલ ર૦ ફેબ્રુઆરીથી અમદાવાદ એસટી બસ સ્ટેન્ડ ખાતેથી દાહોદ, ગોધરા, સંતરામપુર, છોટાઉદેપુર સહિતના રૂટ ઉપર ૪૦૦ થી વધુ એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે.

એસટી વિભાગીય નિયામકના જણાવ્યા મુજબ ધુળેટીમાં મજુર વર્ગને પોતાના વતન જવાની વ્યવસ્થા કરી છે. એડવાન્સ બુકિંગની પણ સુવિધા ઉપલબ્ધ છે. ટ્રાફિકને ધ્યાનમાં રાખીને વધુ વ્યવસ્થા કરાશે.

દરમિયાન ઉત્તર ભારત અને લાંબા અંતરની ટ્રેનમાં રપ૦ થી ૩૦૦ સુધીનું વેઇટીંગ લિસ્ટ છે. હોળી સ્પેશિયલ ટ્રેનના પણ સરખા જ હાલ છે. વારાણસી, દાનાપુર, તાપ્તીગંગા, મુઝફફરપુર સહિતની ટ્રેનમાં વેઇટીંગના પાટિયાં ઝુલી રહ્યાં છે. હજરત નિઝામુદ્દીન અને ન્યુ દિલ્હી સહિતની ટ્રેનમાં મુસાફરોનો ઘસારો છે ત્યારે ટ્રુંકા અંતરની મુસાફરી માટે લોકો વતન જવા માટે બસમાં જવાનું પસંદ કરી રહ્યા છે. તેથી મુસાફરોના ઘસારાને પહોંચી વળવા અમદાવાદ ડિવિઝનમાં આશરે ૪૦૦ જેટલી એકસ્ટ્રા બસો દાહોદ, ગોધરા, ઝાલોદ, લુણાવાડા, કલાંટ અને છોટા ઉદેપુર તરફની રહે છે.

બીજી તરફ ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા પણ રાજસ્થાન, ડાકોર અને દ્વારકા માટે પણ ટ્રિપ શરૂ કરવામાં આવી રહી છે.

(3:51 pm IST)