રાજકોટ
News of Tuesday, 19th March 2019

ત્રણ મહિના પહેલા એસિડ પી લેનારા રામપાર્કના કારડીયા રજપૂત મહિલા વનીતાબેનનું મોત

માનસિક બિમારીને કારણે પગલું ભર્યુ હતું: પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૧૯: જુના માર્કેટ યાર્ડ પાસે રામ પાર્કમાં રહેતાં વનીતાબેન ગોવિંદભાઇ વાઢેર (ઉ.૪૫) નામના કારડીયા રજપૂત મહિલાએ ત્રણ મહિના પહેલા  એસિડ પી લીધું હતું. તેમનું મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

વનીતાબેને ૧૮/૧૨ના રોજ ઘરે એસિડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. બાર દિવસની સારવાર બાદ રજા અપાઇ હતી. ત્યારબાદ એક મહિના પછી ફરીથી સિવિલમાં દાખલ કરાયા હતાં. ત્યારબાદ રજા અપાઇ હતી અને છેલ્લે ૧/૩ના રોજ ફરીથી સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અહિ ગત મોડી રાત્રે દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહે જાણ કરતાં બી-ડિવીઝનના પીએસઆઇ આર. એસ. સાંકળીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. વનીતાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ ગોવિંદભાઇ છુટક મજૂરી કરે છે. ગોવિંદભાઇના કહેવા મુજબ માનસિક બિમારીને કારણે તેણીએ આ પગલું ભર્યુ હતું.

(3:37 pm IST)