કોર્પોરેશન દ્વારા રામ ટાઉનશીપ અને લક્ષ્મણ ટાઉનશીપની ૩૮ દુકાનોની બુધવારે હરરાજી
રાજકોટ,તા.૧૭: મહાનગરપાલિકા દ્વારા મવડી વિસ્તારમાં બનાવવામાં આવેલ શ્રી રામ ટાઉનશીપ (સ્માર્ટ ઘર-૧) અને શ્રી લક્ષ્મણ ટાઉનશીપ (સ્માર્ટ ઘર-૩)ની કુલ ૩૮ દુકાનોની હરાજી કરી વેંચાણથી આપવામાં આવનાર છે, તેમ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું..
વધુ માહિતી આપતા મ્યુનિ. કમિશનરશ્રીએ કહેલું કે, આ દુકાનો ૧૨.૦૮ ચો.મી. થી ૧૬.૦૨ ચો.મી. સાઈઝની છે તેમજ બે ઓફિસો ૮૬.૪૭ અને ૯૧.૧૭ ચો.મી.ની છે. દુકાનોની અપસેટ કીંમત રૂ.૧૯.૯૦ લાખથી રૂ.૧૬.૪૦ લાખ સુધીની છે.
આ જાહેર હરાજીની વિગતો જોતા શ્રી લક્ષ્મણ ટાઉનશીપ (સ્માર્ટ ઘર ૩), આર્યલેન્ડ રેસી. પાછળ, મવડીમાં ૩૪ દુકાનોની તા.૧૯ના બુધવારસવારે ૯.૦૦ કલાકે લક્ષ્મણ ટાઉનશીપ ખાતે હરરાજી થશે. જ્યારે શ્રી રામ ટાઉનશીપ (સ્માર્ટ ઘર ૧), સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, મવડી ખાતે ૪ દુકાનોની ઉપરોકત સ્થળે હરરાજી થશે.
હરાજીમાં ભાગ લેવા માંગતા વ્યકિતઓએ હરરાજીના સમયે સ્થળ પર હાજર રહેવા જાણ કરવામાં આવે છે. હરાજીમાં ભાગ લેનાર ઈસમે સ્થળ પર રૂપિયા એક લાખ પુરા રોકડા અથવા 'રાજકોટ મહાનગરપાલિકા'ના નામના ડીમાન્ડ ડ્રાફ્ટથી ડીપોઝીટ તરીકે ભરવાના રહેશે. ડીપોઝીટ ભરનાર જ હરાજીમાં ભાગ લઈ શકશે. દુકાનોની અપસેટ કિંમત અને હરાજીની શરતો વેબસાઈટ www.rmc.gov.in પરથી તેમજ એસ્ટેટ વિભાગ, રૂમ નં.૧૦, ત્રીજો માળ, ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ ખાતેથી રૂબરૂ મળી શકશે.