૧૨ વર્ષના બાળકની ખુબ જ પ્રેરણાદાયી કહાનીઃ ગુજરાતી ફિલ્મ-'હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું'
૧ માર્ચના આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જીવન પરથી પ્રેરિત ફિલ્મ : નિર્દેશક અનિલ નારાયણી કહે છે-મોદીજીની બાયોપિક નથી, પણ તેમના વ્યકિતત્વથી પ્રભાવીત કહાની છેઃ અમદાવાદનો કરણ મોદી ભજવી રહ્યો છે નરેન્દ્ર મોદીજીના બાળપણથી ભૂમિકા : પત્રકાર પરિષદમાં વિગતો જણાવાઇ : સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ મેળવવામાં ખુબ તકલીફ પડીઃ નિર્દેશકનો આક્રોશ : સાબરી બ્રધર્સની કવ્વાલીમાં હિન્દુ-મુસ્લિમ સમાજની એકતાનો સંદેશો
પત્રકાર પરિષદમાં વિગતો જણાવતાં નિર્દેશક અનિલ નારાયણી, નિર્માતા પવન પોદ્દાર, તાન્યા શર્મા અને મુખ્ય બાળ કલાકારો કરણ પટેલ સહિતના જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૧૯: ગુજરાતી ફિલ્મોનો નવો યુગ શરૂ થયો છે અને લગભગ દર પખવાડીએ કે અઠવાડીએ કોઇને કોઇ નવા વિષયો સાથેની ગુજરાતી ફિલ્મો આવતી રહી છે. લોકો હવે આવી ફિલ્મો જોતા પણ થયા છે. આવી જ એક નોખી અનોખી ગુજરાતી ફિલ્મ ૧ માર્ચના રોજ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મનું નામ છે- 'હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું'. અનિલ નારાયણીએ આ ફિલ્મનું નિર્દેશન કર્યુ છે. આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં શ્રી નારાયણીએ જણાવ્યું હતું કે, 'અમારી આ ફિલ્મ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની બાયોપિક નથી, પરંતુ તેમણે બાળપણમાં ખુબ જ સંઘર્ષ કર્યો હતો અને આજે તેઓ વડાપ્રધાન છે તેમના સંઘર્ષની કથાથી પ્રભાવીત થઇને આ ફિલ્મમાં એવા એક બાળકની વાર્તા દર્શાવાઇ છે. બાળક ભલે ચા વેંચતો હોય પરંતુ તેના સપના મોટા હોય છે, એક બાળક અનેક નકારાત્મક બાબતોની વચ્ચે પણ મોદી જેવા બનવાનું લક્ષ્ય રાખે છે. બસ એ જ આ ફિલ્મની કહાની છે.'
આ ફિલ્મનું શુટીંગ માત્ર ૪૫ દિવસમાં પુરૂ કરાયું છે અને ફિલ્મનું મોટા ભાગનું શુટીંગ અમદાવાદ, વડનગર, વડોદરા સહિતના સ્થળોએ થયું છે. 'હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું' આ ફિલ્મ મ્યુનિસિપલ શાળામાં અભ્યાસ કરતાં ૧૨ વર્ષના નાનકડા બાળકની પ્રેરણાદાયી કહાની છે. જે અસંભવ સપનાને હકિકતમાં તબદીલ કરવા પ્રયાસ કરે છે. ગરીબી અને અભવામાં રહેવા છતાં આ બાળક ખુશ છે અને દરેક સ્થિતિનો પ્રસન્નતાપુર્વક સામનો કરે છે. તે શાળામાં અભ્યાસ કરીને આવ્યા બાદ ચા વેંચે છે, તેની બહેન પણ તેને આગળ વધવા સહયોગ અને પ્રોત્સાહન આપે છે. સખ્ત મહેનત, જુસ્સો અને દ્રઢ નિશ્ચય દ્વારા કોઇપણ વ્યકિત જીવનમાં સફળ બનવાના સપના જોઇને તેને સાકાર કરી શકે છે. તે આ ફિલ્મમાં દર્શાવાયું છે.
શ્રીઅર્થ પ્રોડકશન અને કાવ્યા મુવીઝ પ્રોડકશન પ્રા.લિ. તથા પ્રોડ્યુસર પવન પોદ્દાર અને તાન્યા શર્માની આ ફિલ્મ ૧ માર્ચથી રિલીઝ થશે. આ ફિલ્મને સાઉથ આફ્રિકા અને યુએઇમાં પણ સબટાઇટલ સાથે રિલીઝ કરવામાં આવશે. નિર્દેશક અનિલ નારાયણીએ કહ્યું હતું કે-મારું ઇન્સપિરેશન મોદી છે અને મોદી જેવું કોઇ નથી. આ ફિલ્મમાં મોદીનું બાળપણ દર્શાવાયું છે, રાજનીતિ નહિ. ખુબ જ મહેનત અને રિસર્ચ કરીને આ ફિલ્મ બનાવાઇ છે. નિર્માતા પવન પોદ્દારે કહ્યું હતું કે મોટાભાગના બાળકો સલમાન, શાહરૂખ જેવા બનવા ઇચ્છતા હોય છે. પણ અમારી ફિલ્મનો બાળક મોદી બનવાનો નિર્ધાર કરે છે.
ફિલ્મમાં મોદીજીની બાળપણની ભૂમિકા ભજવનારા કરણ પટેલ મુળ અમદાવાદનો છે. તેણે કહ્યું હતું કે સેકડો બાળકો સાથે તેણે પણ ઓડિશન આપીને કામ મેળવ્યું છે. જ્યારે મને શોર્ટલિસ્ટ કરાયાનો ફોન આવ્યો ત્યારે હું ખુશખુશાલ હતો. તાન્યા શર્માએ કહ્યું હતું કે ફિલ્મમાં મોદીજીની વાર્તા એ રીતે રજૂ કરાઇ છે જે જોઇને દર્શકો આકર્ષિત થશે. મને લાગે છે આજે દરેક બાળક મોદી બનવા માંગે છે. દેશના દરેક નાગરિક સુધી અમે આ ફિલ્મ થકી મોદીજીના બાળપણને પહોંચાડવા પ્રયાસ કરીશું.
નિર્દેશક અનિલ નારાયણીએ જણાવ્યું હતું કે સેન્સર બોર્ડના વલણથી અમારે ખુબ તકલીફ સહન કરવી પડી છે. સેન્સર બોર્ડના ચિફ પ્રસુન્ન જોષીનું નામ લઇને તેમણે કહ્યું હતું કે ફિલ્મ જોયા વિના કોઇપણ ફિલ્મ વિશે કંઈપણ કહેવું યોગ્ય નથી. ઘણી મુશ્કેલીઓ પછી આ ફિલ્મ માટે સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ મળી શકયું છે.
ફિલ્મમાં કરણ પટેલ સાથે બીજા કલાકારોમાં ઓમકાર દાસ, અનેશા સૈદય, આરવ નાયક સહિતનાએ અભિનય આપ્યો છે. સંગીત રાજ ભારતનું છે અને ગીતો આરજે રોશને લખ્યા છે તેમજ દિવ્યાકુમારે કંઠ આપ્યો છે. ફિલ્મમાં હિન્દુ-મુસ્લિમની એકતા દર્શાવતી એક કવ્વાલી પણ છે, જે સાબરી બ્રધર્સએ ગાઇ છે. આ કવ્વાલી ફિલ્મનું જમાપાસુ બની રહેશે.