મૃત્યુનો મલાજોઃ ભાજપનું વિજય સરઘસ નહિ
વિજય સહી, ઉત્સાહ કા અતિરેક નહિ : કાર્યાલયે વિજયોત્સવ મનાવી લીધોઃ મિરાણી-ભારદ્વાજ
રાજકોટ તા. ૧૯ : વોર્ડ નં. ૪ની એક બેઠકની પેટાચૂંટણીમાં આજે ર૧૦૦ થી વધુ મતે ભાજપનો વિજય થતા ભાજપે કાર્યાલયે શાનદાર વિજયોત્સવ મનાવેલ પરંતુ વિજય સરઘસ કાઢયુ નથી. ભાજપે રાજકીય હરિફાઇ વચ્ચે માનવીય અભિગમ બતાવ્યો છે. કાર્યાલયે વિજયોત્સવ મનાવ્યો હતો.
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને પૂર્વ પ્રમુખ નીતીન ભારદ્વાજે જણાવેલ કે સામાન્ય રીતે ભવ્ય વિજય પછી જે તે મતક્ષેત્રમાં વિજય સરઘસ નીકળતુ હોય છે પરંતુ વોર્ડ નં. ૪ ની આ બેઠક કોંગ્રેસના કોર્પોરેટરના અવસાનથી ખાલી પડી હતી. પક્ષ ભલે અલગ હોય પરંતુ સાચા કોર્પોરેટર ગુમાવ્યાનું દુઃખ અમને પણ છે તેથી ભાજપે મૃતકના માનમાં વિજય સરઘસ નહિ યોજવાનો નિર્ણય કર્યો છે. ભાજપને જીતાડવા, બદલ મતદારોના આભારી છીએ અને જીતના સહયોગી કાર્યકરોને અભિનંદન આપીએ છીએ.