રઘુવંશી જ્ઞાતિ જમણ માટે આમંત્રણ રેલી
લોહાણા પરિવારના આરાધ્ય દેવ અને ગૌરક્ષક શ્રી વીરદાદા જશરાજજી ગૌમાતાની રક્ષા કાજે પોતાના લગ્ન મંડપમાંથી લગ્ન ફેરા અધુરા મુકી, ગૌમાતાની વહારે ગયેલ અને શહીદી વહોરેલ. શહીદીની કાયમી સ્મૃતિ જળવાઇ રહે તેવા શુભ આશયથી રઘુવંશી પરિવાર દ્વારા આ વર્ષે પણ શ્રી વીરદાદા જશરાજજીની પુણ્યતિથિની શ્રદ્ધાંજલિરૂપે તા. રર જાન્યુઆરીના રેસકોર્સ ગ્રાઉન્ડ, વીરદાદા જશરાજજી નગર ખાતે જ્ઞાતિ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. જ્ઞાતિગંગામાં રઘુવંશી સમાજના તમામ પરિવારો યોજાય તે માટે જાગનાથ મંદિર ચોક ખાતેથી આમંત્રણ રેલીનું આયોજન કરવામાં આવેલ. ''જય શ્રી રામ'', ''જય જલિયાણ'', ''જય વીરદાદા જશરાજજી''ના જયઘોષ સાથે રઘુવંશી શ્રેષ્ઠીઓએ આ રેલીને પ્રસ્થાન કરાવેલ. રઘુવંશી શ્રેષ્ઠીઓ, યુવાનો, ભાઇઓ, બહેનો બહોળી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. આ રેલી દરમિયાન શહેરના મુખ્ય ચોકમાં રાસ-ગરબા તથા લતવારબાજીની રમઝટ બોલાવી હતી. જુદા-જુદા વિસ્તારોમાં રઘુવંશી પરિવાર દ્વારા રેલીને ફૂલડે વધાવાઇ હતી. સેવાકાર્યમાં યોગદાન આપવા ઇચ્છતા હોય મધ્યસ્થ કાર્યાલય, જાગનાથ મંદિર ચોક, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ (ફોનઃ ૦ર૮૧-૬૮૮૮૦૮૮) ખાતે સંપર્ક કરી શકે છે.