રામેશ્વર પાર્કમાં સાંજે 'નંદ ઘેર આનંદ ભયો'
રાધેશ્યામ ગૌશાળા આયોજીત કથા સ્થળે કૃષ્ણજન્મ ધામધૂમથી ઉજવાશેઃ રાત્રે રામદેવજી મહારાજનો પાઠ ઉત્સવ
રાજકોટ,તા.૧૯ : રૈયાધારની શ્રી રાધેશ્યામ ગૌશાળા દ્વારા ગાય માતાના લાભાર્થે રામેશ્વર પાર્ક શેરી નં.૩, મામા સાહેબ મંદિર સામે રૈયારોડ ખાતે યોજાયેલ ભાગવતકથા સ્થળે આજે તા.૧૯ના શુક્રવારે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે.
આ અંગે વિગતો વર્ણવતા કથા વકતા શ્રી કાલીચરણબાપૂએ જણાવેલ કે તા.૧૫ થી આરંભવામાં આવેલ ભાગવત કથામાં ભાવિકો ભગવાનમય બની રહ્યા છે. ત્યારે આજે તા.૧૯ના શુક્રવારે સાંજે શ્રીકૃષ્ણ જન્મોત્સવનું મંગલમય આયોજન કરાયુ છે. એ નિમિતે સાંજે ૫ વાગ્યે વાજતે ગાજતે શોભાયાત્રા ઓમકારેશ્વર પાર્કથી નિકળી કથા સ્થળ રામેશ્વર પાર્ક પહોંચશે.જયાં 'નંદ ઘેર આનંદ ભયો'ના નાદથી વાતાવરણને ગજાવી મૂકાશે દરમિયાન રાત્રે મહાપ્રસાદ (બટુક ભોજન) અને રામદેવજી મહારાજનો પાઠ ઉત્સવ રાખેલ છે. રાત્રે સંતવાણીમાં વિષ્ણુપ્રસાદ દવે, અમુભાઈ ધોકીયા, બાબુભાઈ પ્રજાપતિ સહિતના કલાકારો ભાગ લેશે.તા.૨૨ના કથાની પૂર્ણાહુતી થનાર હોય વધુને વધુ સંખ્યામાં ધર્મપ્રેમીજનોએ લાભ લેવા ગાદીપતિ પ્રભુદાસ ગોંડલીયા, કોટવાળ કનુભાઈ, ભગવાનજીભાઈ કોરીયા, દિનેશભાઈ પાણખાણીયા, મોહનભાઈ પ્રજાપતિ, રતીલાલ ચાંડેગરા, જેન્તીલાલ માલવીયાએ અનુરોધ કરેલ છે.
તસ્વીરમાં કથાવકતા શ્રી કાલીચરણબાપુ સાથે શ્રીરાધેશ્યામબાપુ, કિશોરબાપુ કાપડી, ગાદીપતી પ્રભુદાસ ગોંડલીયા, શાસ્ત્રી શંકરમહારાજ નજરે પડે છે.