રજત સોસાયટીમાં જુના ઝઘડાનો ખાર રાખી જયંતીભાઇ રાઠોડ પર સાળા સહિત ૪નો હુમલો
ઘરમાં તોડફોડઃ સાળા રણછોડ તેના બે પુત્ર વિપુલ, અજય અને સારીકા સામે ગુનો
રાજકોટ તા.૧૮ : ૮૦ ફૂટ રોડ નહેરૂનગર પાસે આવેલ રજત સોસાયટીમાં રહેતા કડીયા પ્રૌઢ પર તેના સાળા સહિત ચાર શખ્સોએ હુમલો કરી ઘરમાં તોડફોડ કર્યાની ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ ૮૦ ફૂટ રોડ પર શ્યામ હોલ નહેરૂનગર મેઇન રોડ પર રજત સોસાયટીમાં રહેતા જયંતીભાઇ રતિભાઇ રાઠોડ (ઉ.વ..પ૦) ગઇકાલે પોતાના ઘરે હતા. ત્યારે અટીકા પાસે આવેલી પારસ સોસાયટીમાં રહેતા સાળા રણછોડ કડીયા તથા તેના બે પુત્ર વિપુલ, અજય અને સારીકાબેન સહિત આવી જુના ઝઘડાનો ખાર રાખી ઝઘડો કરી ઉશ્કેરાઇ જઇ ધોકા વડે તથા ઢીકાપાટુનો માર મારી બંને હાથમાં ઇજા કરી હતી અને ઘરમાં તોડફોડ કરી હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા ચારેય શખ્સો ભાગી ગયા હતા બાદ જયંતીભાઇ રાઠોડને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે ભકિતનગર પોલીસે તપાસ હાથ ધરી છે.