રાજકોટ
News of Friday, 18th October 2019

અમારા વિરૂધ્ધ ફરિયાદ શું કામ કરી?...કોઠારીયા સોલવન્ટમાં પ્રતાપસિંહ ગોહિલ પર છરીથી હુમલો

યુવરાજસિંહ, દિપકસિંહ અને મોગલો ત્રણેક મહિનાથી હેરાન કરતાં હોવાનો આક્ષેપ

રાજકોટ તા.૧૮: કોઠારીયા સોલવન્ટ હાઉસીંગ બોર્ડ કવાર્ટર નં. ૩૩૩માં રહેતાં મુળ ભાવનગરના પ્રતાપસિંહ જેઠુભા ગોહિલ (ઉ.૫૫) પર રાત્રીના ઘર નજીક યુવરાજસિંહ જાડેજા, દિપકસિંહ અને મોગલાએ હુમલો કરી છરીથી ઇજા કરી પથ્થરમારો કરતાં સારવાર માટે દાખલ થયા હતાં.

હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલાએ આજીડેમ પોલીસને જાણ કરી હતી. પ્રતાપસિંહ શાપરની કંપનીમાં સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેના કહેવા મુજબ તેનું મકાન પડાવી લેવાના ઇરાદે આ શખ્સો ત્રણેક મહિનાથી પોતાને હેરાન કરે છે. રાતે પોતે નોકરીએથી આવે ત્યારે રસ્તામાં રોકી ગાળો આપે છે. આ કારણે થોડા દિવસ પહેલા પોલીસમાં અરજી કરી હતી. તેનો ખાર રાખી ગત રાતે ફરીથી પોતાને અટકાવી 'અમારા વિરૂધ્ધ ફરિયાદ શું કામ કરી?' કહી ફરીથી હુમલો કર્યો હતો. આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:37 pm IST)