રાજકોટ
News of Thursday, 18th October 2018

પંચનાથ ગરબીમાં ઇશ્વર વિવાહની અલૌકિક ઉજવણી

૧૦ર વર્ષથી ચાલતા ગરબી મંડળમાં પરંપરા અકબંધઃ આઠમે ઇશ્વર વિવાહ માત્ર જામનગર હવાઇ ચોકમાં અને રાજકોટમાં પંચનાથ મંદિરે યોજાય છે પંચનાથ ગરબીમાં મુગટ વગર રમી શકાતું નથી લાઉડ સ્પીકર નથી રખાતું : ૧૧૦૦ બાળાઓને ફી વગર પ્રવેશ

રાજકોટ તા. ૧૮ :.. શકિતની સાધનાનું પર્વ નવરાત્રી ઘોંઘાટિયુ અને ધંધાદારી બની ગયું છે, પરંતુ હજુ અમૂક સ્થળે સદી જૂની પરંપરા અકબંધ  રહી છે અને દૈવ્ય શકિતની સાધના થાય છે.

રાજકોટમાં પંચનાથ ગરબી મંડળ દ્વારા  પરંપરા જીવંત રહી છે. રાજકોટના ખૂબ લોકપ્રિય પંચનાથ મંદિરની સ્થાપના ૧૪૩ વર્ષ પુર્વે થઇ હતી. અહીં પંચનાથ ચોકમાં ૧૯૧૬ ની સાલમાં પંચનાથ ગરબી મંડળનો પ્રારંભ થયો હતો. ૧૦ર વર્ષે પણ નવા મંડળે પરંપરા અકબંધ રાખી છે.

આસો નવરાત્રીની આઠમની રાત્રે  અહીં ઇશ્વર વિવાહની અલૌકિક ઉજવણી  થાય છે. ગઇકાલે વિવાહ ઉજવાયા હતાં. ભાવિકો તેને માણીને ધન્ય બન્યા હતાં.

ઇશ્વર વિવાહ માત્ર બે સ્થાને જ ઉજવાઇ રહ્યા છે. જામનગરના હવાઇ ચોકમાં બ્રહ્મ સમાજની વાડીમાં આ વિવાહ પરંપરા જળવાઇ છે અને રાજકોટમાં પંચનાથ ગરબી મંડળ  વિવાહ ઉજવે છે. રાજકોટમાં માત્ર પુરૂષો દ્વારા ઇશ્વર વિવાહ પ્રસંગ યોજાય છે. અગ્રણી કાયાદવિધ અનિલભાઇ દેસાઇએ એ ગઇકાલે ઇશ્વર વિવાહ પ્રસંગ માણ્યો હતો. તેઓ  આ પરંપરા અણમોલ છે અને તેની રજૂઆત પરંપરાગતરૂપે થાય છે.

રાગ કલ્યાણમાં સ્તુતીથી પ્રારંભ થયા બાદ ઇશ્વર વિવાહ વિવિધ રાગ-ઢાળમાં ગવાય છે. સાથે ભવાની માતાનો છંદ, મહાલક્ષ્મીનો ગરબો, ગણપતિ છંદ, અંબાજી યાત્રાનો ગરબો, બહુચરાજીનો છંદ, મહાકાળી ગરબો, રાસ બાદ છેલ્લે જય આદ્ય-શકિત... આરતી સાથે ઇશ્વર વિવાહ સંપન્ન થાય છે. ગઇકાલે વિવાહ માણીને ભાવિકો ધન્ય બન્યા હતા.

પંચનાથ ગરબી મંડળના ઇશ્વર વિવાહ  અચુક માણવા જેવા છે. આ ઉપરાંત પંચનાથ ગરબી અનેક વિશેષણો ધરાવે છે. અહીં ગરબી રમવી હોય તો પુરૂષોએ ફરજીયાત મુગટો પહેરવા પડે છે. સ્વ. અરવિંદભાઇ મણિયાર, સ્વ. પ્રવીણકાકા વગેરે સહિતના મહાનુભાવો અહીં ગરબી રમવા નિયમિત આવતા હતા. હજુ પણ બાળકો-યુવાનોથી માંડીને મોટી ઉંમરના પુરૂષો ગરબી રમવા આવે છે.

ઉપરાંત કોઇ પ્રકારની એન્ટ્રી ફી વગર કે કોઇ ખર્ચ વગર ૧૧૦૦ બાળાઓ ગરબી રમે છે. ઘોંઘાટ જરા પણ થતો નથી. માઇક-લાઉડ સ્પીકર રખાતા નથી. વાજીંત્રો પણ ૧૦૦ વર્ષ જુના ઉપયોગમાં લેવાય છે.

પરંપરા અને ભકિતભાવ બંને જળવાઇ રહે તે માટે ટ્રસ્ટીઓ દેવાંગભાઇ માકડ, લક્ષ્મણભાઇ ચાવડા, તનસુખભાઇ ઓઝા, નારણભાઇ લાલકિયા, મહેન્દ્રસિંહ ગોહિલ, ડી.વી. મહેતા, મયુરભાઇ શાહ, ડો. લલિત ત્રિવેદી, મિતેશભાઇ વ્યાસ, નીતિનભાઇ મણિયાર, મનુભાઇ પટેલ વગેરે જહેમત ઉઠાવી રહયા છે.(૫-૩૪)

 

(3:33 pm IST)