આજીએ કર્યા રાજી : રાજકોટનો આજી-1 ડેમ ઓવરફ્લો : મનપાના પદાધિકારીઓએ નવા નીરના વધામણાં કર્યા
ન્યારી-1 ડેમ બાદ આજી-1 ડેમ પણ છલકાઈ જતા શહેરીજનોમાં આનંદની લાગણી
રાજકોટ : તાજેતરમાં વરસેલા સારા વરસાદને પગલે નવા નીરની આવકથી રાજકોટનો આજી-1 ડેમ આજે સાંજે 4:15 વાગ્યા આસપાસ છલકાવાનું શરૂ થયું હતું. રાજકોટને પીવાનું પાણી પુરૂ પાડતો ન્યારી-1 ડેમ છલકાઇ ગયા બાદ હવે આજી-1 ડેમ પણ છલકાઈ જતા શહેરીજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે. આનંદના આ અવસરે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર ડો. પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઈ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા અને વોટર વર્ક્સ કમિટીના ચેરમેન દેવાંગભાઈ માંકડ સહિતના મહાનુભાવો આજે સાંજે આજી-1 ડેમની મુલાકાતે ગયા હતા, અને નવા નીરના વધામણાં કરી હરખ વ્યક્ત કર્યો હતો. એ નોંધનીય બનશે કે, આજી-1 ડેમ 17મી વખત ઓવરફ્લો થયો છે.