ગણેશ મહોત્સવ અંતિમ ચરણમાં : કાલે મુર્તિવિસર્જન સાથે સમાપન
વિહવળ હૈયે ભાવિકો દાદાને વિદાય આપશે : 'અગલે બરસ તુ જલ્દી આ' ના નારા ગુંજશે : મોટાભાગે ઘરે ઘરે જ વિસર્જન
રાજકોટ તા. ૧૮ : ગણેશ ચતુર્થીના દિવસથી દુંદાળા દેવનું સ્થાપન કરી ગુણલા ગઇ રહેલ ભાવિકો હવે ભાવ વિહવળ બનવા લાગ્યા છે. મહોત્સવના વિરામની ઘડી આવી પહોંચી છે. જયાં જયાં સ્થાપન થયુ છે ત્યાં કાલે મુર્તિ વિસર્જન સાથે મહોત્સવનું સમાપન કરાશે. જો કે કેટલાક સ્થળે સોમવારે મુર્તિ વિસર્જનના આયોજન કરાયા છે.
આમ તો દર વર્ષે વાજતે ગાજતે દાદાની વિસર્જન યાત્રા યોજવામાં આવતી હોય છે. પરંતુ હાલ કોરોના ગાઇડ લાઇનને અનુસરીને નિયત કરેલા સ્થળે મંજુરી લઇને સાદગીભેર મુર્તિ વિસર્જન કરાશે. તો મોટાભાગે ઘરે ઘરે જ પાણીની વ્યવસ્થા કરી મુર્તિ વિસર્જનના કાર્યક્રમો આયોજીત કરાયા છે.
'ગણપતિ બાપા મોરીયા અગલે બરસ તુ જલ્દી આ' ના નારાઓ ગુંજશે. અબિલ ગુલાલની છોળો વચ્ચે મૂર્તીનું જળમાં વિસર્જન કરી વિદાય અપાશે. આ સમયે ભાવુક ભકતોની આંખો ભીની પણ થઇ જાય છે. જયાં દસ દસ દિવસથી આરતી પૂજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની જાકમજોળ જામતી હતી ત્યાં કાલથી શાંતી છવાય જશે.
શહેરભરમાં આયોજીત ગણેશ મહોત્સવના છેલ્લા દિવસના કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.
'કોઠારીયા કોલોની કા મહારાજા'ને સાંજે છપ્પન ભોગ ધરાવાશે
વિનાયક ગ્રુપ આયોજીત ૭/૩ માસ્તર સોસાયટી ખાતે બિરાજતા 'કોઠારીયા કોલોની કા મહારાજા'ના સાનિધ્યમાં દરરોજ સવાર સાંજ મહાઆરતી થઇ રહ્યા છે. દરમિયાન આજે સાંજે દાદાને છપ્પનભોગ ધરાવાશે. સાંજે ૭.૩૦ કલાકે ઓમકાર મહાઆરતી થશે. કાલે રવિવારે અનંત ચતુર્દર્શીના સવારે ગણેશ યજ્ઞનું આયોજન કરાયુ છે. બપોરે ૧૨ કલાકે મહાઆરતી બાદ અબીલ ગુલાલની છોળો અને ગણપતિ દાદા મોરીયા અગલે બરસ તુ જલ્દીઆના નારા સાથે મૂર્તિ વિસર્જન કરાશે. આરતી દર્શનમાં ભાવિકોએ જોડાવા વિનાયક ગ્રુપનાના કિરણબેન વડગામા, જીતુભાઇ ડાભી, દિપકભાઇ પરમાર, નિર્મલસિંહ જાડેજા, રાજુભાઇ વડગામા, દાઉદભાઇ હેરંજા, સત્યદીપસિંહ જાડેજા, નિમૈષભાઇ પરમાર, જય ઉદાણી, અમીત ગેલાણી, પારસભાઇ, તીરૂપ ડાભી, શોભના જાડેજા, રેખાબેન, ઉન્નતીબેન અને ઉર્જા ઉત્કર્ષ મહિલા મંડળ દ્વારા અનુરોધ કરાયો છે.