અપહરણ-પોકસોનો આરોપી સોની બજારમાંથી પકડાયો
ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી.જે. જાડેજા ટીમના જયેશભાઇ અને ચેતનસિંહ ચુડાસમાની બાતમીઃ દ્વારકા સર્કલ પોલીસને સોંપાયો
રાજકોટઃ ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ પોકસોના ગુનાનો આરોપી સોયમ ઉર્ફે શબ્બીર કાસમભાઇ નારીયા (રહે.પરમાસલ કવાટર મફતીયાપ્લોટ ઓખા જી. દ્વારકા) રાજકોટમાં સોની બજાર દરબારગઢ આર.કે.આંગડીયા પાસે હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચના એએસઆઇ જયેશભાઇ પી. નીમાવત તથા ચેતનસિંહ ચુડાસમાને મળતા તેને પકડી લઈ દ્વારકા સર્કલ પોલીસ ઇન્સપેકટરને સોંપવા તજવીજ કરવામાં આવી છે. આ ગુનો ૬/૦૯ના રોજ બન્યો હતો. ઉપરોકત આરોપી સાથે ભોગ બનનાર પણ મળી આવી હોઇ તેણીને પણ દ્વારકા પોલીસને સોંપાઇ હતી. આરોપી પરણેલો ઢગો છે. જો કે બે વર્ષથી તે પત્નિીથી અલગ રહેતો હતો. એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાએ રાજકોટ શહેર તથા રાજયના નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપેલ હોઇ જે અન્વયે પીઆઇ વી. કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ ડીસીપી પીએસઆઇ વી. જે. જાડેજા, હિતેન્દ્રસિંહ , ભરતસિંહ, મહેશભાઇ, શકિતસિંહ, સ્નેહભાઇ, કુલદિપસિંહ અને મહીલા કોન્સ. નેહલબેન મકવાણાએ કાર્યવાહી કરી હતી.