રાજકોટ
News of Sunday, 18th August 2019

અશોક ડાંગરની લાલ આંખઃ પક્ષ પલ્ટાની ટીપ્પણી કરનારા બન્ને કાર્યકરોનાં હોદ્દા છીનવી લીધા

સોશયલ મીડિયામાં કોંગ્રેસની છબી ખરડાવતી ટીપ્પણી કરનાર બહાદુરસિંહ ઝાલા અને ગ્રૃપ એડમીનને શહેર કોંગ્રેસ પ્રમુખે ત્રણ દિ'માં ખૂલાશો કરવા નોટીસ ફટકારી

રાજકોટ, તા., ૧૭: શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગરના પક્ષપલ્ટા બાબતે સોશ્યલ મીડીયાનાં 'રાજકોટ કોંગ્રેસ ' ગૃપમાં વિવાદાસ્પદ ટીપ્પણીઓ કરનારા બહાદુર સિંહ ઝાલા અને ગ્રુપ એડમીન અમીત રવાણીને હોદાઓ ઉપરથી દુર કરી પક્ષવિરોધી પ્રવૃતી કરવા બાબતે ત્રણ દિવસમાં ખુલાસો કરવા શહેર પ્રમુખ અશોકભાઇ ડાંગરે શો-કોઝ નોટીસ ફટકારતાં પક્ષમાં આંતરીક ખટપટ કરનારાઓમાં સોપો પડી ગયો હતો.

આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ  ડાંગરે સોશ્યલ મીડીયામાં રાજકોટ કોંગ્રેસ નામનું ગ્રુપ ચલાવતા ગૃપ એડમીન અમીન રવાણી અને આ ગૃપમાં પક્ષ પ્રમુખના પક્ષપલ્ટા બાબતે વિવાદાસ્પદ ટીપ્પણી કરનારા બહાદુરસિંહ ઝાલાને ફટકારેલી શોકોઝ નોટીસમાં સ્પષ્ટ પણે જણાવાયું છે કે  સોશ્યલ મીડીયા આપના દ્વારા રાજકોટ કોંગ્રેસ ગ્રુપમાં તા. ૧૪ ના રોજ પક્ષની છબી ખરડાય તેમજ પક્ષને નુકશાન જાય તેવી ટીપ્પણીઓ બપોરે ર.પ૩ (૧૪.પ૩) કલાકે કરવામાં આવેલ છે અને શહેર પ્રમુખશ્રીની અને પક્ષની ગરીમા ન જળવાય તેવી ટિપ્પણીઓ કરવામાં આવેલ છે તે અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડાની સુચનાથી આ નોટીસ આપવામાં આવે છે. જેનો લેખિત ખુલાસો દિવસ-૩ માં આપવો અને જયાં સુધી પક્ષ દ્વારા આ ખુલાસો સ્વીકારવામાં નાં આવે ત્યાં સુધી આપને પક્ષના દરેક હોદા ઉપરથી દુર કરવામાં આવે છે જેની ગંભીર પણે નોંધ લેવા આ નોટીસ પાઠવામાં આવે છે.

આમ સોશ્યલ મીડિયામાં પક્ષની છબી ખરડાવતી ટીપ્પણીઓ કરનારા બંને કાર્યકરોથી આ હરકતને અત્યંત ગંભીરતાથી લઇ આક્રમકતા સાથે કાર્યકરોનાં હોદાઓ છીનવી લેતાં આવી પ્રવૃતિ કરનારાઓમાં સોંપો પડી ગયો છે.

(3:44 pm IST)