રાજકોટ
News of Friday, 18th June 2021

નવાગામમાં ટ્રાન્સપોર્ટની ઓફિસ નજીક મારામારીઃ પોપટભાઇ અને હુશેનભાઇને ઇજા

પૈસાની લેતીદેતી મામલે ઝઘડો થતાં પાઇપ-લાકડીથી બઘડાટી

રાજકોટ તા. ૧૮: નવાગામમાં ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસે મારામારી થતાં  ટ્રાન્સપોર્ટ સંચાલક સહિત બે જણાને ઇજા થઇ હતી.

જામનગર રોડ પર પર પરસાણાનગર-૬માં રહેતાં અને દર્પણ રોડવેઝ નામે ધંધો કરતાં પોપટભાઇ મછાભાઇ ધરાગીયા (ઉ.વ.૩૦-રહે. માલધારી સોસાયટી) પર રાતે નવેક વાગ્યે નવાગામ મેંગો માર્કેટ પાસે અલી રોડવેઝના માલિક સહિતે હુમલો કરી પાઇપથી ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં આ મુજબની એન્ટ્રી હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં નોંધાવી હતી.

પોપટભાઇના મિત્ર સુરસિંહ વાળા તેમને હોસ્પિટલે લાવ્યા હતાં. સુરસિંહના કહેવા મુજબ ધંધાના લેણા નીકળતાં નાણાની ઉઘરાણી કરવા પોતે મિત્ર પોપટભાઇ સાથે અલી રોડવેઝ ખાતે ગયા હતાં. ત્યારે બોલાચાલી થતાં હુમલો કરાયો હતો.

સામા પક્ષે જામનગર રોડ પરસાણાનગર-૬માં રહેતાં હુશેનભાઇ દાઉદભાઇ ઠેબા (ઉ.વ.૪૨) પણ પોતે નવાગામ અલી રોડવેઝ પાસે હતાં ત્યારે સુરસિંહભાઇ વાળા સહિતે લાકડી પાઇપથી હુમલો કરી ઇજા કર્યાની રાવ સાથે સિવિલમાં દાખલ થતાં પોલીસને જાણ કરાઇ હતી.

(2:56 pm IST)