સત્યસાંઇ રોડ ફુલવાડી પાર્કમાં પટેલ કારખાનેદાર અજયભાઇ તંતીનો ગળાફાંસો ખાઇ આપઘાત
કમ્મરના દુઃખાવાથી કંટાળી પટેલ કારખાનેદારે પગલુ ભર્યું : પટેલ પરિવારમાં આક્રંદ
રાજકોટ, તા. ૧૮ :. નાનામવા રોડ સત્ય સાંઈ હોસ્પીટલ રોડ પર આવેલ ફુલવાડી પાર્કમાં પટેલ કારખાનેદારે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી વિગતો મુજબ સત્ય સાંઈ હોસ્પીટલ રોડ પર આવેલ ફુલવાડી પાર્કમાં રહેતા અજયભાઈ પ્રાગજીભાઈ તંતી (ઉ.વ. ૪૦) નામના પટેલ કારખાનેદારે પોતાના ઘરે બીજા માળે સીડીની બાજુમાં છતના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનો તેને લટકતી હાલતમાં જોઈ જતા ૧૦૮ને જાણ કરતા જ ૧૦૮ના ઈએમટી વિજયભાઈ અને પાયલોટ નિલેશભાઈ ગોસ્વામીએ તપાસ કરતા અજયભાઈનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા જ તાલુકા પોેલીસ મથકના એએસઆઈ અજીતસિંહ જાડેજા અને રાઈટર રીતેશભાઈ પટેલે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતક અજયભાઈ મવડી વિસ્તારમાં કારખાનુ ધરાવતા હતા. તેને સંતાનમાં એક પુત્ર છે. તે બે ભાઈમાં મોટા હતા. તેને છેલ્લા ૭ વર્ષથી કમ્મરનો દુઃખાવો રહેતો હોય તેથી કંટાળી તેણે આ પગલુ ભર્યુ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે. પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.