અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પઃ ૧૫૭ રકતદાતાઓ દ્વારા રકતદાન
૧૧ અંગદાન, ૩૫ ચક્ષુદાન અને ૫ દેહદાન માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી
રાજકોટઃ રાષ્ટ્રસંત પૂ.ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ.સા.પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા થેલેસેમિયા પીડિત બાળકો અને સિવિલ હોસ્પિટલના દર્દીના લાભાર્થે તા.૧૬ના રોજ શ્રી ઉવસગ્ગહરં સાધના ભવન (પારસધામ) ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૫૭ રકતદાતાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું. આ બ્લડ સિવિલ હોસ્પિટલ તથા થેલેસેમિયા પીડિત દર્દીને પુરૂ પાડવામાં આવશે. આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પની સાથે જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી મૃત્યુ બાદ અંગદાન માટે ૧૧, ચક્ષુદાન માટે ૩૫ અને દેહદાન માટે ૫ પ્રતિજ્ઞા લેવડાવી હતી.
આ અવસરે પ્રવીણભાઈ કોઠારી, સી.એમ.શેઠ, હરેશભાઈ વોરા (સરદારનગર), સુશીલભાઈ ગોડા, જીતુભાઈ કોઠારી, પ્રતિકભાઈ સંઘાણી (એનિમલ હેલ્પલાઈન), અનિમેષભાઈ રૂપાણી, સુજીતભાઈ ઉદાણી, જગદીશભાઈ શેઠ (મહાવીરનગર), વિનયભાઈ જસાણી (શ્રીમદ્દ રાજચંદ્ર), પ્રફુલભાઈ રવાણી, નરેન્દ્રભાઈ દોશી, સંજયભાઈ દોશી (સાધનાભવન), નરેન્દ્રભાઈ દોશી અને તરૂબેન દોશી (એલએનએલ), નિરાલી પારેખ વગેરે ઉપસ્થિત રહી આ આયોજનને બિદાવેલ હતું. આ કાર્યક્રમ દરમિયાન પૂજય ગુરૂદેવ લાઈવ દ્વારા આશીર્વચન પાઠવેલ. આ કાર્યને સફળતાપૂર્વક પાર પાડવા અર્હમ યુવા સેવા ગ્રુપ અને શ્રી ઉવસગ્ગહરં સાધના ભવન દ્વારા જહેમત ઉઠવાયેલ.