રાજકોટ
News of Tuesday, 18th June 2019

વીરડા વાજડીમાં નાગપુરના મરાઠી યુવાન આકાશની ગળાફાંસો ખાઇ આત્મહત્યા

પત્નિ ચોખા લઇને ઘરે આવી ત્યાં પતિ લટકતો મળ્યોઃ માસુમ પુત્રીએ પિતાનું છત્ર ગુમાવ્યું : ત્રણ બહેનનો એક જ ભાઇ અને માતા-પિતાનો આધાર હતો

રાજકોટ તા. ૧૮: કાલાવડ રોડ પર આવેલા વીરડાવાજડી ગામમાં ભાડેથી રહેતાં મુળ નાગપુરના મરાઠી યુવાને ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

વીરડાવાજડીમાં મુળુબાપુના મકાનમાં રહેતાં આકાશ જાદવભાઇ બનસોડ (ઉ.૨૩)એ નળીયાની આડીમાં સાડી બાંધી ફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલાએ તાલુકા પોલીસને જાણ કરી હતી.

આકાશ ત્રણ બહેનનો એકનો એક મોટો ભાઇ હતો. તેના માતા-પિતા નાગપુર રહે છે. પોતે પત્નિ આરતી અને એક દિકરી સાથે વીરડાવાજડી રહી મેટોડા કંપનીમાં નોકરી કરતો હતો. ગત સાંજે પત્નિ ચોખા લેવા ગઇ હતી. તે પરત ઘરે આવી ત્યારે પતિ લટકતો મળ્યો હતો. આપઘાતનું કારણ પત્નિ જાણતી ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. આશિષના મૃતદેહને અંતિમવિધી માટે નાગપુર લઇ જવામાં આવ્યો હતો.

(11:21 am IST)