રાજકોટ
News of Friday, 18th May 2018

રાજકોટમાં વજુભાઇ વાળાના ઘર બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

વિરોધ પ્રદર્શનની ચીમકી બાદ શેરીની બંને બાજુએ બેરિકેટિંગ કરી દીધું :ઘરની અંદર પણ જવાનોને બંદોબસ્ત માટે મુકાયા

રાજકોટ :કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય 'નાટક' વચ્ચે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાના રાજકોટ ખાતે આવેલા ઘર બહાર ચુસ્ત પોલસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
 કોંગ્રેસ આજે આખા દેશમાં 'લોકતંત્ર બચાવો'ના બેનર હેઠળ વિરોધ પ્રદર્શન કરી રહી છે.. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને વજુભાઈના ઘર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
    કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે વજુભાઈના રાજકોટ ખાતેના ઘર ખાતે પણ દેખાવો કરવાની ચીમકી ઉચ્ચાર્યા બાદ શુક્રવારે વહેલી સવારથી જ તેમના ઘરની બહાર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. વજુભાઈનું ઘર આવેલું છે તે શેરીની બંને બાજુએ પોલીસે બેરિકેટિંગ કરી દીધું છે. અહીં આવતા જતા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે તેમના ઘરની અંદર પણ પોલીસના જવાનોને બંદોબસ્ત માટે મૂકવામાં આવ્યા છે. કોંગ્રેસના કાર્યકરો ઘર કે તેમના પરિવારના સભ્યોને કોઈ નુકસાન ન પહોંચાડે તે માટે એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ તેમના ઘરે પહોંચી ગયા છે.

(11:53 am IST)