રાજકોટ
News of Wednesday, 18th March 2020

રાજકોટમાં ૩ વર્ષની બાળા ઉપર બળાત્કાર બાદ હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા

૩૯ વર્ષ પુર્વે શશીકાંત માળીને થયેલ ફાંસીની સજા બાદ ૧૯૯૮ માં વશરામ પટેલ અને ર૦ર૦ના કેસમાં રમેશ બચુભાઇ વેધુકીયાને ફાંસીની સજા થઇઃ રાજકોટના અધિક સેશન્સ જજ ડી. ડી. ઠક્કરનો ઐતિહાસીક ચુકાદોઃ રાજકોટ બાર એસો. દ્વારા ઠરાવ થતાં કોઇ વકીલો રોકાયા નહિઃ ૪પ દસ્તાવેજી પુરાવા ઉપરાંત ૧૩ સાહેદોની જુબાનીની આરોપી દોષિતઃ બે વર્ષ પુર્વે આરોપીએ શ્રમિક દંપતિની ત્રણ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કરેલઃ મૃતકના કપડા-લોહીના ડાઘ અંગે FSL અને DNA નો મોટો પુરાવો મળ્યો

પહેલા વ્હોરા વૃધ્ધાની હત્યા-લૂંટનો ભેદ ખુલ્યો હતોે: નિર્દોષ વ્હોરા વૃધ્ધા અસ્માબેન હાતિમભાઇ સદીકોટની ક્રુર હત્યા કરી દાગીના લૂંટી લેવાની ઘટનાનો પહેલા પર્દાફાશ થયો હતો. હત્યારો રમેશ બચુભાઇ કોળી પ્રથમ તસ્વીરમાં તથા નીચે તેને લઇને આવી રહેલા પી.એસ.આઇ. કે. કે. જાડેજા સહિતની ટીમ (જેણે આરોપીને શોધવામાં મહત્વની ભુમિકા ભજવી હતી તે) અને ઉપરની તસ્વીરમાં વિગતો જણાવતાં એસીપી જે. એચ. સરવૈયા, એસીપી બી. બી. રાઠોડ, પી.આઇ. એચ. એમ. ગઢવી, પી.આઇ. એ.આર. મોડીયા, હીરાભાઇ રબારી, હિતેષભાઇ ગઢવી સહિતની ટીમ તથા કબ્જે થયેલી રિક્ષા જોઇ શકાય છે. વૃધ્ધાની હત્યા-લૂંટનો ભેદ ખુલ્યા બાદ આ શખ્સે જ બાળકીનું અપહરણ, બળાત્કાર, હત્યા કર્યાની વિગતો સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. (ફાઇલ ફોટો-અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૮ :.. રાજકોટ સહિત  રાજયભરમાં ચકચાર મચાવનાર અને રાજકોટ પોલીસ માટે પડકાર જનક કહી શકાય તેવા માસુમ બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી અને પથ્થરના ઘા ઝીંકી ક્રુરતાથી મોતને ઘાટ ઉતારવાના ગુનામાં રાજકોટની સ્પે. પોકસો અદાલતે બે વર્ષમાં કેસ ચલાવી આરોપીને હત્યાના ગુનામાં ફાંસી, દુષ્કર્મના ગુનામાં આજીવન કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.

 પ્રાપ્ત વિગત મુજબ મુળ મધ્ય પ્રદેશના વતની અને હાલ શહેરના વાણીયાવાડી વિસ્તારમાં આવેલ જલજીત હોલ પાસે બાંધકામની સાઇટ પર રહી પેટીયુ રળતા શ્રમિક પરીવારની ત્રણ વર્ષની ફુલ જેવી માસુમ બાળકીના અપહરણની ફરીયાદ થોરાળા પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસે મહત્વની દુષ્કર્મ અને મર્ડરનો ભેદ ઉકેલ્યો હતો.

શહેરના પરાબજાર કૃષ્ણપરા-૧ માં લાલજી ટાવર સામે રહેતા અસ્માબેન હાતિમભાઇ સીદીકી પોતાની પુત્રી બતુલબેન યુસુફભાઇના ઘરે ગયા હતા અને ત્યાંથી ભગવતીપરામાં જવા રીક્ષામાં બેસી ગયા બાદ લાપતા થઇ ગયાની મૃતકના પુત્ર મોઇઝ સાદીકોટે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

ગુમ થયેલા આસ્માબેનની હત્યા કરાયેલી લાશ સોખડા જવાના રસ્તે મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો હતો. જેમાં વૃધ્ધા રીક્ષામાં બેસીને ગયા હોવાના આધારે સીસી ટીવી કેમેરા ચેક કરતા જેમાં રીક્ષા નંબર મળી આવતા પોલીસે રીક્ષા નંબરના આધારે રીક્ષા માલીક ભગવતીપરાનો યુનુસ અલ્લારખા હોવાનું જાણવા મળતા પોલીસે યુનુસની પુછતાછ કરતા તેણે આ રીક્ષા સાત હનુમાન પાસે કીંગ ફાર્મ હાઉસ પાસે બહેનના ઘરે રહેતા રમેશ બચુ વેધુકીયાને ભાડે આપ્યા હોવાનું ખુલતા પોલીસે તેને ઝડપી લીધો હતો.

પોલીસે રમેશ વેધુકીયાની પ્રાથમિક તપાસમાં બંગડી બજારમાંથી વૃધ્ધાને બેસાડી ભગવતીપરામાં લઇને જતો તે દરમ્યાન રીક્ષા ચાલક રમેશને ખ્યાલ આવ્યો કે વૃધ્ધા આસ્માબેનને ઓછુ દેખાતું હોવાથી રીક્ષા માલીયાસણ અને ત્યાંથી સોખડા જવાના માર્ગે લઇ જઇ વૃધ્ધાને રીક્ષામાંથી નીચે ઉતારી ધકકો મારી માથામાં પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી સોનાનાં ઘરેણાની લૂંટ ચલાવ્યાની કબુલાત આપી હતી.

ગુમ થયેલી ત્રણ વર્ષની બાળકીની હત્યા કરાયેલો મૃતદેહ ભાવનગર રોડ પર જૂની પીટીસી કોલેજના અવાવરૂ સ્થળેથી મળી આવતા પોલીસે બાળકીનો મૃતદેહનો કબ્જો સંભાળી પી. એમ. કરાવતા બાળકી ઉપર દુષ્કર્મ આચરી પથ્થરના ઘા ઝીંકી ક્રુરતા પુર્વક હત્યા નિપજાવ્યાનું ખુલ્યું હતું.

દુષ્કર્મ અને હત્યાનો ભેદ ઉકેલવા પોલીસ માટે પડકાર જનક હતો ક્રાઇમ બ્રાંચ સહિત અલગ અલગ ૮ ટીમો બનાવી હત્યા અને દુષ્કર્મનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો હતો. ત્યારે પી. આઇ. ેકે. કે. ઝાલા સહિતની ટીમે સીસી ટીવીના આધારે હત્યા અને દુષ્કર્મનો ભેદ ઉકેલ્યો હતો. જેમાં વૃધ્ધાની હત્યા અને લૂંટના બનાવમાં સંડોવાયેલો અને કુવાડવા રોડ પોલીસ મથકનાં રીમાન્ડમાં રહેતો રમેશ વેધુકીયા એ જ બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતાર્યાનું ખુલતા પોલીસે રમેશ વેધુકીયા કુવાડવા પોલીસ મથકના સ્ટાફ પાસેથી કબજો મેળવી પોલીસ મથકનાં રીમાન્ડમાં રહેતો રમેશ વેધુકીયાએ જ બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતાર્યાનું ખુલતા પોલીસે રમેશ વેધુકીયા કુવાડવા પોલીસ મથકના સ્ટાફ પાસેથી કબ્જો સંભાળ્યો હતો.

પોલીસે રમેશ વેધુકીયાની ધરપકડ કરી પ્રાથમિક પુછપરછ કરતા તે એકલાવાયુ જીવન જીવતો હતો અને રીક્ષા લઇને જલજીત હોલ નજીકથી નીકળ્યો ત્યારે બાળકી રેતીના ઢગલા પર રમતી હતી ત્યારે અપહરણ કરી ભાવનગર રોડ પર અવાવરૂ સ્થળે લઇ જઇ બે વખત દુષ્કર્મ આચર્યુ હતું અને બાળકી રડવા લાગતા પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી. અને બાળકીની હત્યા બાદ સાત હનુમાન નજીક પાનની દુકાને ગયો ત્યારે વેપારીએ તેને પુછયું કે લોહીના ડાઘા સેના છે ત્યારે તેણે જણાવ્યું કે પડી ગયો હતો. પોલીસે તપાસ પુર્ણ થતા બે માસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યુ હતું. અને આ કેસની સુનાવણી સ્પે. પોકસો કોર્ટમાં હાથ ધરવામાં આવતા જેમાં બંને પક્ષોની સુનાવણીના અંતે સરકાર પક્ષે જીલ્લા સરકારી વકીલ એસ. કે. વોરા દ્વારા કરવામાં આવેલી દલીલમાં લેખીત-મૌખીક દલીલના તેમજ ૪પ દસ્તાવેજી પુરાવા, ૧૩ સાહેદો, તપાસનીશ અને તબીબની જુબાનીના અંતે અધિક સેશન્સ જજ ડી. ડી. ઠક્કરે આરોપી રમેશ વેધુકીયાને હત્યાના ગુનામાં ફાંસી અને દુષ્કર્મના ગુનામાં આજીવન કેદ તેમજ દંડ ફટકારતો હુકમ કર્યો છે.

૩૯ વર્ષ પહેલા શશીકાંત માળીને થયેલ ફાંસીની સજા બાદ વધુ એકને ફાંસીની સજા

રાજકોટ તા. ૧૮ :.. રાજકોટમાં આજે દુષ્કર્મ, હત્યાના કેદીને પડેલી ફાંસીની સજાની સાથે રાજકોટમાં ૩૯ વર્ષ પહેલા એક કેદીને ફટકારાયેલી ફાંસીની સજા તાજી થઇ હતી. શશીકાંત માળી નામના શખ્સે જંકશ વિસ્તારમાં રહેલા વિપ્ર પરિવારના ત્રણ સભ્યોની ઘરમાં ઘુસીને ક્રુર હત્યા નિપજાવી હતી જે કસમાં અદાલતે જે તે સમયે શશીકાંતને ફાંસીની સજા ફટકારી હતી. ત્યારબાદ આજે તા. ૧૭-૩-ર૦ ના રોજ હેવાન રમેશને અદાલતે ફાંસીની સજાનો હુકમ કર્યો છે. અગાઉ રાજકોટમાં જ વશરામ પટેલ નામના કોઠારીયા રોડ વિસ્તારના શખ્સ પોતાની ત્રણ પુત્રી અને પત્નીને જીવતી જલાવી હત્યા નિપજાવી હતી. જે કેસમાં ૧૯૯૮ માં વશરામને રાજકોટની અદાલતે ફાંસીની સજા સંભળાવી હતી. જે અપીલમાં ફાંસીની સજા રદ થઇ હતી.

પોકસોનો કાયદો મજબુત બન્યા પૂર્વે..

રાજકોટમાં ગુન્હો આચરનારને ક્રુરતાપૂર્વક હત્યા કરતા મળી ફાંસી

દિલ્હી ખાતે નિર્ભયાની ઘટના સંદર્ભે દેશ હચમચી ઉઠયો હતો અને સગીરા પર દુષ્કર્મ મામલે કેન્દ્ર સરકારે આકરા દંડની જોગવાઇ સાથે કાયદો કડક બનાવ્યો હતો, પરંતુ રાજકોટની ઘટનામાં નવા કાયદાનું અમલ કરવું શકય ન હોવાથી પોલીસે મજબુત પુરાવા એકત્ર કરીને ચાર્જશીટ રજુ કરતા આ મામલે અદાલતે આરોપીના કૃત્યને સમજ માટે ઘાતક ગણીને બચાવપક્ષની દલીલને માન્ય રાખીને ક્રુર હત્યા સંદર્ભે આરોપીને ફાંસીની સજા ફરમાવી હતી.

નરપિશાચને શોધવા પોલીસની આઠથી વધુ ટીમો કામે લાગી

. અપહૃત માસુમ બાળાને નરપિશાચે ન કરવાનું કહીને મોઢા પર પથ્થર કે બીજો કોઇ બોથડ પદાર્થ ફટકારી પતાવી દીધાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ.ભટ્ટ, ડીસીપી ડો. કરણરાજ વાઘેલા, બલરામ મીણા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, હર્ષદ મહેતા, બી. બી. રાઠોડ સહિતના અધિકારીઓએ તાકીદેન બેઠક યોજી ગંભીર ગુનાનો ભેદ તાકિદે ઉકેલવા અને નરપિશાચને શોધી કાઢવા તમામ પોલીસ મથકોના ડી. સ્ટાફની ટીમો, ક્રાઇમ બ્રાંચ, એસઓજીની ટીમોને કામે લગાડી દીધી છે. આ તમામ ટીમોએ પીટીસી વિસ્તારમાં પડ્યા પાથર્યા રહેતાં પચાસેક જેટલા શખ્સોની પુછતાછ કરી કડી મેળવવા વહેલી સવાર સુધી મથામણ કરી હતી. અંતે સફળતા મળી હતી.

આરોપીના બચાવ માટે સરકારે લીગલ એઇડમાં વકીલ ફાળવ્યા

રાજકોટ :  બે વર્ષ પૂર્વે માસુમ બાળકી ઉપર દુષ્કર્મ આચરી અને ક્રુરતા પૂર્વક મોતને ઘાટ ઉતારવાના બનાવને પોલીસે રમેશ વવેધુકીયાની ધરપકડ કરી હતી.

જે મામલે રાજકોટ બાર એસો. દ્વારા આરોપી તરફે વકીલ તરીકે ન રોકાવા કરેલા ઠરાવ બાદ પરંતુ બંધારણીય જોગવાઇ અનુસાર સરકાર દ્વારા આરોપીના બચાવ અર્થે ધારાશાસ્ત્રી ફાળવવા આવેલ હતા.

રાજકોટની અદાલતે આરોપીને ત્રીજા કિસ્સામાં આપ્યો ફાંસીનો હુકમ

રાજકોટમાં ૩૮ વર્ષ પૂર્વે ત્રિપલ હત્યામાં સંડોવાયેલા આરોપી શશીકાંત શ્રીમાળીને અદાલતે ફાંસીની સજા આપી હતી. આ કેસમાં શશીકાંત શ્રીમાળીએએડવોકેટ દ્વારા નોકરી સંદર્ભે મજુર અદાલતમાં ચાલી રહેલા કેસમાં વિલંબથી અને પોતાના વકીલની ભૂમિકાથી શંકાના કિડા સાથે ઉશ્કેરાઇને વકીલના પરિવાર પર હુમલો કરીને ત્રીપલ હત્યા નિપજાવી હતી. જેમાં અદાલતે શશીકાંત શ્રીમાળીને દોષિત ગણી ફાંસીની સજા ફટકારી હતી.

દૂષ્કર્મ ગુજારાયા બાદ બોથડ પદાર્થ-પથ્થર ફટકારી હત્યા થયાનો ફોરેન્સિક પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ આવ્યો હતો

. જે બાળાની લાશ મળી તેના અપહરણનો ગુનો થોરાળા પોલીસમાં નોંધાઇ ચુકયો છે. દૂષ્કર્મ આચરીને હત્યા કરાઇ હતી કે કેમ? તે સ્પષ્ટ કરાવવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું. જેમાં દૂષ્કર્મ આચરાયાનું અને બાદમાં બોથડ પદાર્થ કે પથ્થર ફટકારી હત્યા કરાયાનું સ્પષ્ટ થતાં અગાઉના અપહરણના ગુના નં. ૧૫/૨૦૧૮માં દુષ્કર્મ, પોસ્કો, હત્યા સહિતની કલમોને ઉમેરો કરવા તજવીજ કરવામાં આવી રહી હતી.

અદાલતમાં પિતાના આંસુ આરોપીને ફાંસીની સજા સુધી દોરી ગયા : જીલ્લા સરકારી વકીલ

રાજકોટ : માસુમ બાળકી ઉપર દુષ્કર્મ અને મોતને ઘાટ ઉતારવાની કેસની સ્પેશ્યલ અદાલતમાં સુનાવણી દરમ્યાન મૃતક બાળકીના પિતા જુબાની આપવા અદાલતમાં હાજર હતાં ત્યારે અદાલત દ્વારા મૃતક પુત્રીના કપડા પિતાને દખાડવામાં આવતા કપડા જોઇ પિતા ધ્રુસકેને ધ્રુસકે અદાલતમાં રડી પડયા હતાં અને અદાલતમાં ભાવુક દૃશ્યો સર્જાયા હતાં ત્યારે જીલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ આરોપી દ્વારા આચરેલા જધન્ય કૃત્યને હળવાસથી લઇ શકાય નહીં અને ફાંસીની સજા આપવાની અદાલત સમક્ષ માંગ કરી હતી અને આરોપી રમેશ વેધુકીયાને ફાંસીની સજાનો હુકમ અદાલતે કર્યો છે.

(2:43 pm IST)