કોમ્યુનિટી હોલના બુકિંગ રદ્દ નહિ થાય : અરજદારોને રાહત
ચૂંટણી બંદોબસ્તમાં આવનારા પોલીસ જવાનોને આવાસ યોજનામાં ઉતારો : કોર્પો.ના ર૦ કોમ્યુનિટી હોલ પોલીસ ઉતારા માટે આપવાની માંગ તંત્રએ ફગાવી દેતા હવે ૨૦૦ જેટલા પ્રસંગો ધામધૂમથી યોજાશે
રાજકોટ તા. ૧૮ : આગામી લોકસભાની ચુંટણી દરમિયાન મ્યુ.કોર્પોરેશનના કોમ્યુનિટી હોલ પોલીસ જવાનોને રહેવા માટે ફાળવવાની માંગશહેર પોલીસ દ્વારા થતા આગામી એપ્રિલ-મે મહીના દરમિયાન ર૦ જેટલા કોમ્યુનિટી હોલના ર૦૦ જેટલા બુકીંગ રદ કરવા પડે તેવી સ્થીતી સર્જાઇ હતી પરંતુ હવે તંત્ર વાહકોએ કોમ્યુનિટી હોલનાં બુકીંગ રદ્દ નહી કરવાનો પ્રજાલક્ષી નિર્ણય લેતા અરજદારોએ રાહતનો શ્વાસ લીધો છે.
આ અંગે મ્યુ.કોર્પોરેશનના સતાવાર સુત્રોના જણાવ્યા મુજબ આગામી ર૩ એપ્રિલે યોજાનાર લોકસભાની ચૂંટણી માટે રાજકોટ ખાતે બહારગામથી બંદોબસ્ત માટે આવનાર પોલીસ ત્થા એસ.આર.પી. જવાનોને રહેવા માટે મ્યુ.કોર્પોરેશનના કોમ્યુનિટી હોલ અથવા લાઇટ-પાણી ટોઇલેટની સુવિધાવાળા આવાસ યોજનાના કવાર્ટરો અથવા ડોરમેટરીની વ્યવસ્થા કરવા માટે શહેર પોલીસના અધિકારી દ્વારા પત્ર પાઠવી માંગ ઉઠાવાઇ છે
આમ શહેર પોલીસની ઉપરોકત માંગણીને કારણે આગામી એપ્રિલ-મે મહીનામાં કોર્પોરેશનના ર૦ જેટલા કોમ્યુનીટી હોલના બુકિંગ રદ કરવા પડે તેવી સ્થીતી સર્જાઇ હતી અને જો કોમ્યુનિટીહોલના બુકીંગ રદ કરીને આ હોલ પોલીસને ફાળવવામાં આવે તો ર૦૦ જેટલા પરિવારોના પ્રસંગો રઝળી પડે જેના કારણે જબરો ઉહાપોહ મચી જાપ આથી જો વિકલ્પે આવાસ યોજનાના કવાર્ટરો અન ેડોરમેેટરીની વ્યવસ્થા થાય તો ગરીબ-મધ્યમવર્ગના પ્રસંગો રઝળતા અટકી જાય અને લોકોને છેલ્લી ઘડીએ હોલ બુકીંગ માટે દોડવુ ન પડે.
આમ મ્યુ. કોર્પોરેશનના સત્તાવાહકોએ કોમ્યુનિટી હોલમાં પોલીસ જવાનોનાં ઉતારો આપવાને બદલે કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાસે આવેલી આવાસ યોજનાના ખાલી પડેલા ૩૫૦ કવાર્ટરોમાં ૧૨૦૦ જેટલા પોલીસ જવાનોને ઉતારો આપવાનો નિર્ણય લીધો છે.
નોંધનિય છે કે મ્યુ.કોર્પોરેશનના વસંતરાય ગજેન્દ્ર ગડકર કોમ્યુનિટી હોલ (ગુરૂપ્રસાદ ચોક), શ્રી પ્રતાપભાઇ ડોડીયા કોમ્યુનિટી હોલ (માયાણી ચોક), શ્રી મનસુખભાઇ ઉધાડ કોમ્પ્યુનીટી હોલ (માયાણી ચોક) એકલવ્ય કોમ્યુનિટી હોલ (જાગનાથ પ્લોટ)શ્રી ગુરૂ ગોવિંદસિંહજી કોમ્યુનીટી હોલ (રૈયા રોડ) પંડીત દિનદયાળ ઉપાધ્યાય કોમ્યુનીટી હોલ યુનિટ-૧ (પેડક રોડ) શ્રી મોહનભાઇ સરવૈયા કોમ્યુનિટી હોલ, શ્રી ગુરૂનાનક કોમ્યુનિટી હોલ (ગાયકવાડી) શ્રી વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલ (કોઠારીયા રોડ) આંદનગર કોમ્યુનીટી હોલ (પારડી રોડ) શ્રી નાનજીભાઇ ચૌહાણ કોમ્યુનિટી હોલ (ધરમનગર આવાસ પાસે) શ્રી નવલસિંહ ભટ્ટી કોમ્યુનિટી હોલ (ધરમનગર આવાસ પાસે) ડો. આંબેડકર કોમ્યુનિટી હોલ, અવંતિબાઇ લોધી કોમ્યુનિટી હોલ, શ્રી મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલ (સંત કબીર રોડ) શ્રી કાંતીભાઇ વૈદ કોમ્યુનિટી હોલ (કોઠારીયા રોડ) કોમ્યુનીટી હોલ નવ થોરાળા મેઇન રોડ વગેરે સહીત કુલ ર૦ કોમ્યુનીટી હોલમાં એપ્રિલ-મે મહીના દરમિયાન ર૦૦ જેટલા પ્રસંગોના બુકીંગ થયા છે. આ તમામ બુકીંગ ધારકોનાં જીવ તાળવે ચોટયા હતા પરંતુ હવે કોમ્યુનિટી હોલનાં બુકીંગ રદ્દ નહી કરવા નિર્ણય લેવાતા અરજદારોમાં જબરી રાહત ફેલાઇ છે.