અમારી લડાઇ સરકાર સામે નહિ અન્યાય સામે
કોંગ્રેસ દ્વારા મહાજન સંપર્ક અભિયાન શરૂઃ આગેવાનો રૂબરૂ જઇ જનતાના પ્રશ્નોને વાચા આપશે
રાજકોટઃ એ.આઈ.સી.સી.ના ગુજરાતના સંગઠન પ્રભારી શ્રી રાજીવ સાતવજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી અને પૂર્વ કેન્દ્રીયમંત્રીશ્રી ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી અર્જીનભાઈ મોઢવાડીયા, પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, પૂર્વ કેન્દ્રીયમંત્રી ડૉ. તુષારભાઈ ચૌધરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી હાર્દિક પટેલ, સહિત ધારાસભ્યશ્રીઓ, આગેવાનશ્રીઓ મહાનગરોના ૧૪૩ વોર્ડ, સમગ્ર ગુજરાતના ૧૦૯૬ જીલ્લા પંચાયત સીટ, ૫૨૭૪ તાલુકા પંચાયત સીટ અને ૮૧ નગરપાલિકાઓમાં મહા જન સંપર્ક અભિયાન અંતર્ગત રૂબરૂ જઈને પ્રજાને મળીને તેમના પ્રશ્નોની ચર્ચા કરશે તથા તેને આવનારી ચૂંટણીમાં જનતાના મેનીફેસ્ટોમાં સમાવી વાચા આપશે.
ગુજરાત કોંગ્રેસના -ભારી શ્રી રાજીવ સાતવે જણાવ્યું હતું કે, દસ દિવસ સુધી ગુજરાત કોંગ્રેસ દ્વારા મહાજનસંપર્ક અભિયાનની રાજ્યના જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા ક્ષેત્રમાં શરુઆત થશે. જેમાં આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી પ્રચાર તથા જનતાની સમસ્યાની વાતને લઈને જવાની વાત સાથેનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાલમાં અંતિમ તબક્કામાં છે, ઉમેદવારોમાં કોંગ્રેસ પક્ષ આ વખતે ૫૦ ટકા નવા ચહેરાઓને તક આપશે.
પ્રદેશ સમિતિના પ્રમુખ શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતની સાંપ્રત પરિસ્થિતિ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી, કોંગ્રેસ પક્ષ દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપવા, લોકોની તકલીફોને બુલંદ અવાજે ઉપાડી તેના નિરાકરણ માટે કોંગ્રેસે મહાનગરોમાં હેલ્લો કેમ્પેઈનની શરુઆત કરી, ટૂંકા સમયમાં હેલ્લો કેમ્પેઈનને પ્રચંડ પ્રતિસાદ મળ્યા બાદ આજે બીજા સ્ટેપ તરફ આગળ વધી રહ્યા છીએ.
પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ શ્રી હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ભાજપના શાસનથી સમગ્ર ગુજરાતમાં લોકો ખુબજ ત્રસ્ત અને નારાજ છે, આ અભિયાન હેઠળ ગુજરાતના લોકોની આશાઓ અને અપેક્ષાઓ પર ખરા ઉતરવાનું કામ કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરો ગામડે ગામડે જઈને કરશે, તમામ ગામડાઓની અંદર ખેડૂત બીલ, બેરોજગારી અને મોંઘવારી સહીતની દરેક સમસ્યાઓ પર લોકો વચ્ચે જઈને ઉજાગર કરવાનું કામ કરી રહ્યા છીએ. જે પ્રમાણે કોંગ્રેસ પક્ષના આગેવાનો- કાર્યકરો લોકોને પક્ષની સાથે જોડો રહ્યા છે ત્યારે ભાજપ સંપૂર્ણપણે સરકાર અને પોલીસ અધિકારીઓનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરી રહી છે, અમે માત્ર સરકાર સામે નહી અન્યાય સામે લડી રહ્યા છીએ.