મનહરપુરના નામચીન કોળી શખ્સની હત્યાના ગુનામાં આરોપીના હાઇકોર્ટમાં જામીન મંજુર
રાજકોટ, તા.૧૮ : રાજકોટના મનહરપુરમાં નામચીન કોળી શખ્સ ભુપત સોમાભાઇના ખૂનના ગુન્હામાં આરોપી આહીર શખ્સનો ગુજરાત હાઇકોર્ટે જામીન ઉપર છૂટકારો ફરમાવેલ છે.
રાજકોટમાં મનહરપુરમાં રહેતા કોળી યુવાન ભુપત સોમાભાઇ જાખલીયાએ ગાંધીગ્રામ (યુનિ. પોલીસ સ્ટેશનમાં તા. ૧૦-૧ર-૧૯ના રોજ ફરીયાદ નોંધાવેલ હતી અને જેમાં જણાવેલ કે પોતાને રીક્ષા પાર્ક કરવા બાબતે જયદીપ વિભાભાઇ હુંબલ વિગેરે સાથ ઝઘડો થયેલ અને જે ઝઘડાનો ખાર રાખી જયદીપ વિભાભાઇ, પ્રકાશ વિભાભાઇ, હુંબલ, જીતેશ કાનાભાઇ હુંબલ, અશ્વિન ખેંગારભાઇ જરૂ, આનંદ ખેંગારભાઇ જરૂ, અરશી આહીર વિગેરે શખ્સો સામે ખૂની હુમલાની ફરીયાદ નોંધાવલ હતી અને જેમાં ચાલુ સારવાર દરમ્યાન ભુપત સોમાભાઇનું મૃત્યુ નિપજતા ખૂનનો ગુન્હો બનેલ હતો.
ઉપરોકત ગુન્હામાં ચાર્જશીટ થતા આરોપી અરશીભાઇ જેઠાભાઇ વસરા, ઠે. મનહરપુ-૧, જામનગર રોડ, રાજકોટવાળાએ સેસન્સ અદલતમાં જામીન અરજી કરેલ હતી જે જામીન અરજી અદાલત દ્વારા રદ કરવામાં આવતા જેનાથી નારાજ થઇને ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરેલ જેમાં અરજદાર અરશીભાઇ જેઠાભાઇ વસરા તરફેએ મતલબની રજુઆત કરેલ હતી જે ફરીયાદી દ્વારા આરોપીનું ખોટું નામ આપવામાં આવેલ છે અને ખોટી રીતે ફરીયાદ તથા ડી.ડી.માં નામ આપીને ખોટી રીતે સંડોવી દીધેલ છે અને ફરીયાદી વિરૂદ્ધ અનેક ગુન્હાઓ નોંધાયેલ છે અને હાલમાં પણ સામસામી ફરીયાદ નોંધાયેલ છે. આરોપીનો કોઇ ગુન્હાહીત ભુતકાળ નથી તથા આરોપી વિરૂદ્ધ પ્રથમ દર્શનીય રીતે પોલીસ તપાસના કાગળોમાં કોઇ પુરાવો મળી આવતો નથી તેવી ધારા રજુઆતો કરી આરોપીને જામીન ઉપર છોડવા માટેની વિનંતી કરેલ હતી.
ઉપરોકત સંજોગોમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા બચાવપક્ષની રજુઆતો, પોલીસ તપાસના કાગળો અને કાયદાકીય પરિસ્થિતિ ધ્યાને લઇ અરજદાર આરોપીને રૂ. ૧૦,૦૦૦,ના શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે.
આ કામમાં ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ આશિષભાઇ ડગલી તથા રાજકોટના યુવા ધારાશાસ્ત્રી ભગીરથસિં ડોડીયા, કિરીટ બી. નકુમ, હેમાંશુ પારેખ, જયવીર બારૈયા મિલન જોષી દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, ખોડુભા સાકરીયા, દુલદીપસિંહ ચૌહાણ, જયપાલસિંહ સોલંકી એડવોકેટ રોકાયેલ હતાં.