કોંગ્રેસ દ્વારા આજથી ૩ દિ'જનસંવાદ કાર્યક્રમ
અલગ-અલગ વોર્ડમાં ચૂંટણી જીતવા વિસ્તૃત ચર્ચાઓ થશેઃ આજે સાંજે વોર્ડ નં.પ અને ૬માં વિપક્ષી નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ
રાજકોટ તા. ૧૮ :.. શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઇ ડાંગરે જણાવ્યું છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ શહેર કોંગ્રેસના વોર્ડના નાનામાં નાના કાર્યકરોથી લઇ તમામ શ્રેણીના આગેવાનો, કાર્યકરોને વોર્ડ વાઇઝ મળી સંવાદ કરશે, આ મીટીંગમાં વોર્ડ પ્રમુખ, વોર્ડ પ્રભારી, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, સંગઠન મંત્રી, કારોબારી સભ્યો, બુથ પ્રભારી, જન મિત્રો, સેકટર સંયોજકો, તેમજ વોર્ડના હોદેદારો, પૂર્વ હોદેદારો, કોર્પોરેટરો, દાવેદારો સહિતના તમામ શ્રેણીના આગેવાનો, કાર્યકરો સાથે મળી આગામી ચૂંટણી સંદર્ભે રણનીતિ ઘડવા અને માઇક્રો લેવલના સંગઠન અંગે નવી નીતિઓ ઘડી કોંગ્રેસ પક્ષના ઉમેદવરોને વિજેતા બનાવવા અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
જે અંતર્ગત આજે વોર્ડ નં. પ માં સાંજે પ કલાકે રણછોડનગર કોમ્યુનીટી હોલ, રણછોડનગર સોસાયટી શેરી નં. ૪, કુવાડવા રોડ, તથા વોર્ડ નં. ૬ માં સાંજે ૭ કલાકે. ‘આજી ધ વ્યૂહ રેસ્ટોરન્ટ' આજી ડેમ ચોકડીથી આગળ, ભાવનગર મેઇન રોડ, ખાતે વિપક્ષી નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતીમાં સંવાદ કાર્યક્રમ યોજાશે તેમ પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું.