રાજકોટ
News of Monday, 18th January 2021

લોહાણા મહાપરિષદ અને રાજકોટ મહાજનના સંયુકત પ્રયાસોથી જ્ઞાતિ ઉત્કર્ષના શ્રેષ્ઠ કાર્યો થશેઃ સતીષભાઇ વિઠ્ઠલાણી

મહાપરિષદના નવનિયુકત પ્રમુખનો રાજકોટ લોહાણા મહાજન દ્વારા સ્વાગત-સત્કાર સમારંભ યોજાયો : અકિલાના મોભી અને સમાજશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાનો રાજકોટ લોહાણા મહાજનને હરહંમેશ આશીર્વાદરૂપી અપ્રતિમ સહયોગઃ રાજુભાઇ પોબારૂ : કોરોના ગાઇડલાઇન્સના પરિપ્રેક્ષ્યમાં યોજાયેલ ચિંતન શિબિરમાં મહાજનના કારોબારી સભ્યો તથા રઘુવંશી ડોકટર્સ એસો.ના હોદે્દારો-સભ્યો જોડાયા : રઘુવંશીઓને આરોગ્ય, શિક્ષણ, વિવિધ સરકારી યોજનાઓનો લાભ, વૃધ્ધોની સ્થિતિ, વિધવા-વિધુરની પરિસ્થિતિ, દિકરીઓને સ્વરક્ષણની તાલીમ વિગેરે ક્ષેત્રે સમૃધ્ધ કરવાની નેમ

રાજકોટ તા. ૧૮ :.. સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશીઓની માતૃસંસ્થા લોહાણા મહાપરિષદના ઇ.સ. ર૦ર૦ થી ર૦રપ ની ટર્મ માટેના નવનિયુકત પ્રમુખશ્રી સતિષભાઇ વિઠ્ઠલાણીએ વિશ્વના સૌથી મોટા ગણાતા રાજકોટ લોહાણા મહાજનની મુલાકાત લીધી હતી.

કોરોના ગાઇડલાઇન્સનાં પરિપ્રેક્ષ્યમાં રાજકોટ લોહાણા મહાજન દ્વારા યોજાયેલ શ્રી સતિષભાઇ વિઠ્ઠલાણીના સ્વાગત-સત્કાર સમારંભમાં અધ્યક્ષસ્થાનેથી બોલતા શ્રી સતિષભાઇ વિઠ્ઠલાણીએ જણાવ્યું હતું કે લોહાણા મહાપરિષદ અને રાજકોટ લોહાણા મહાજનના સંયુકત પ્રયાસોથી જ્ઞાતિ ઉત્કર્ષના શ્રેષ્ઠ કાર્યો થશે.

રઘુવંશીઓને કોઇપણ બિમારી સબબ આરોગ્ય ક્ષેત્રે કોઇપણ જાતની તકલીફ ન પડે તેનું સતત ધ્યાન રાખવા મહાપરિષદ તત્પર છે. 'આરોગ્ય નિધિ' દ્વારા જરૂરીયાતમંદ રઘુવંશીઓને તુરત જ નાણાંકીય સહાય પણ મળી જશે તેવી ખાતરી પણ સતિષભાઇ વિઠ્ઠલાણીએ આપી હતી.

ઉપરાંત રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂના સફળ નેતૃત્વ હેઠળ ચાલતી જ્ઞાતિ હિતની વિવિધ પ્રવૃતિઓને તેઓએ બેનમૂન ગણાવી હતી. રઘુવંશીઓ ઉચ્ચ શિક્ષણ મેળવે,  UPSC-GPSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરે, વિવિધ સરકારી-ખાનગી નોકરીઓમાં ઉચ્ચ હોદઓ મેળવે, જ્ઞાતિના દિકરા-દિકરીઓને રહેવા માટે હોસ્ટેલ - છાત્રાલયોની સગવડતા પ્રાપ્ત થાય વિગેરે માટે પણ રાજકોટ લોહાણા મહાજનને સાથે રાખી પરિણામલક્ષી કાર્ય કરવાનો કોલ મહાપરિષદના નવનિયુકત પ્રમુખે આપ્યો હતો. સાથે-સાથે 'શિક્ષણ નિધિ' નો મહત્તમ ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો.

  જ્ઞાતિજનોને મૉં અમૃતમ કાર્ડ, આયુષ્યમાન ભવ, MYSY  (મુખ્યમંત્રી યુવા સ્કોલરશીપ યોજના) વિગેરે જેવી સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે, સમાજમાં નિરાધાર કે એકલા રહેતા વૃધ્ધોની દેખરેખ, વિધવા-વિધુરની પરિસ્થિતિમાં સુધારો, દિકરીઓને સ્વરક્ષણની તાલીમ, યોગ-પ્રાણાયામ, બહેનો પગભર થઇ શકે, સ્કીલ ડેવલપમેન્ટ માટેની તાલીમ વિગેરે સંદર્ભે પણ  રાજકોટ લોહાણા મહાજનને સાથે રાખીને દાખલારૂપ કામગીરી કરવાનો કોલ મહાપરિષદના પ્રમુખે આપ્યો હતો.

શ્રી સતિષભાઇ વિઠ્ઠલાણી સાથે જોડાયેલ તેમના ધર્મપત્ની અને લોહાણા મહાપરીષદની મહિલ પાંખના ચેરપર્સન શ્રીમતી રશ્મિબેન વિઠ્ઠલાણીએ રઘુવંશી મહિલાઓના ઉત્કર્ષની તમામ પ્રવૃતિઓને સત્વરે પ્રાધાન્ય આપવાની વાત કરી હતી.

રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજૂભાઇ પોબારૂએ જણાવ્યું હતું કે જ્ઞાતિહિત - સમાજહિતનું કોઇપણ કાર્ય હોય, મહાપરિષદની સાથે રહીને રાજકોટ લોહાણા મહાજન તે કાર્ય કરવા સદાય ઉત્સુક છે અને રહેશે. રાજુભાઇ પોબારૂએ રાજકોટ લોહાણા મહાજનને હરહંમેશ આશીર્વાદરૂપી અપ્રતિમ સહયોગ આપનાર અકિલાના મોભી અને સમાજશ્રેષ્ઠીશ્રી કિરીટભાઇ ગણાત્રાનો પણ ખાસ આભાર વ્યકત કર્યો હતો.

તમામ સમાજશ્રેષ્ઠીઓને સતિષભાઇ વિઠ્ઠલાણીના સ્વાગત-સત્કાર સમારંભમાં નિમંત્રિત કરવાની મહાજન પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂની અદમ્ય મહેચ્છા હોવા છતાં કોરોનાને કારણે નાછૂટકે માત્ર લિમિટેડ સંખ્યામાં ચિંતન શિબિરરૂપે સ્વાગત સમારંભ રાખવામાં આવ્યો હતો. રાજકોટ લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇએ મહાજનની તમામ પ્રવૃતિઓનો વિસ્તૃત ચિતાર આપ્યો હતો.

રઘુવંશીઓના શૌર્યગીતથી શરૂ થયેલ આ ચિંતન શિબિરમાં પ્રારંભે તાજેતરના ભૂતકાળમાં સ્વર્ગસ્થ થયેલ રાજકોટ લોહાણા મહાજનના કમિટી સભ્યો સ્વ. ગોરધનભાઇ રાચ્છ તથા સ્વ. બળવંતભાઇ પુજારાને હાજર રહેલ સૌ કોઇએ બે મિનિટ મૌન પાળીને શ્રધ્ધાંજલી અર્પી હતી.

સ્વાગત પ્રવચન રાજકોટ લોહાણા મહાનના મંત્રી શ્રીમતી રીટાબેન કોટકે કર્યુ હતું અને ત્યારબાદ હાજર રહેલ સૌ મહાજન કારોબારી સભ્યોએ મહાપરિષદના પ્રમુખશ્રી સતિષભાઇ વિઠ્ઠલાણી તથા મહાપરિષદની મહિલા પાંખના ચેરપર્સન શ્રીમતી રશ્મિબેન વિઠલાણીનું સ્વાગત કર્યુ હતું. અંતમાં આભારવિધી રાજકોટ લોહાણા મહાજનના મંત્રી ડો. હિમાંશુભાઇ ઠક્કરે કરી હતી તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. પરાગભાઇ દેવાણીએ કર્યુ હતું.

મેડીકલ, એજયુકેશન સહિતના જ્ઞાતિ ઉત્કર્ષના વિવિધ મુદ્ે મહાપરિષદના પ્રમુખ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરવા યોજાયેલ આ ચિંતન શિબિરમાં રાજકોટ લોહાણા મહાજનના કારોબારી સભ્યો તથા રઘુવંશી ડોકટર્સ એસોસીએશન રાજકોટના હોદેદારો - સભ્યો હાજર  રહ્યા હતાં. જેમાં રાજુભાઇ પોબારૂ, ડો. નિશાંતભાઇ ચોટાઇ, ડો. હિમાંશુભાઇ ઠક્કર, રીટાબેન કોટક, ડો. નિતાબેન ઠકકર, ધવલભાઇ ખખ્ખર, ડો. પરાગભાઇ દેવાણી, ડો. આશીષભાઇ ગણાત્રા, શૈલેષભાઇ પાબારી, કિશોરભાઇ (મનસુખભાઇ) કોટક, હિરેનભાઇ ખખ્ખર, ડો. મિલાપભાઇ મશરૂ, ડો. ભાવેશભાઇ સચદે, ડો. અતુલભાઇ જસાણી, ડો. નિતીનભાઇ રાડીયા,  ડો. ચેતનભાઇ લાલસેતા, ડો. મયંકભાઇ ઠક્કર, યોગેશભાઇ જસાણી એડવોકેટ જતીનભાઇ કારીયા, પ્રદિપભાઇ સચદે, રંજનબેન પોપટ, વિધિબેન જટાણીયા વિગેરેનો સમાવેશ થતો હતો.

(12:02 pm IST)