ગુજરાત ૧૪ ટકા GST કલેકશન હાંસલ નથી કરી શકયું પરંતુ બોગસ પેઢી ખોલનારને પકડવામાં આગળ
વેરા સમાધાન સૌથી વધુ લાભ સૌરાષ્ટ્રને : રાજકોટ ફર્સ્ટ નંબરે હોવાનો નિર્દેશ : રાજકોટમાં ચીફ કમિશ્નર ગુપ્તાની પત્રકારો સાથે વાતચીત : આજ સુધીમાં ૩૫ની ધરપકડ
રાજ્યના જીએસટીના ચીફ કમિશ્નર શ્રી જે.પી.ગુપ્તા
રાજકોટ તા. ૧૭ : ગુજરાત રાજય ૧૪ ટકા ટેકસ કલેકશન ગ્રોથ હાંસલ કરી નથી શકયું, પણ બોગસ પેઢી ખોલનારની ધરપકડ કરવામાં ગુજરાત સૌથી આગળ છે. તેમ ગુજરાત રાજયના જીએસટીના ચીફ કમિશનર જે.પી.ગુપ્તાએ ગઇકાલે રાજકોટમાં પત્રકારોને જણાવ્યું હતું. આ સમયે જોઇન્ટ કમિશ્ન્ર શ્રી ત્રિવેદી, શ્રી ગુર્જર તથા અન્યો ઉપસ્થિત હતા.
તેમણે ઉમેરેલ કે, બોગસ બિલિંગ પ્રકરણમાં રાજયમાં અત્યાર સુધીમાં ૩૫થી વધુ લોકોની ધરપકડ કરી છે. ટેકસ નહીં ભરનાર તમામની યાદી જીએસટીના ડિપાર્ટમેન્ટ પાસે છે. જીએસટીમાં કરચોરો છટકી ન જાય તે માટે રિટર્ન નહીં ભરનાર, રિટર્ન ભર્યા બાદ ડેટા મિસમેચ થવાના મુદ્દા પર અને રિફંડના પ્રશ્નના નિરાકરણને પ્રાથમિકતા અપાઈ છેે.
તેમણે જણાવેલ કે, વેરા સમાધાનનો સૌથી લાભ સૌરાષ્ટ્રે લીધો છે. વેટમાં લિટિગેશન ઓછા થાય, સરકારને જૂની રિકવરી મળે તે હેતુથી વેરા સમાધાન યોજના લાગુ કરી છે. આ યોજનામાં રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો અને વેપારીઓએ સૌથી વધુ લાભ લીધો છે. એમાં પણ રાજકોટ હાલ ફર્સ્ટ નંબરે હોવાનો નિર્દેશ તેમણે આપ્યો હતો.