રાજકોટ
News of Friday, 18th January 2019

પોપટપરામાં કોળી વૃધ્ધ ધનજીભાઇ અને પરિવારના પાંચ લોકો ઉપર ૧૫ કુટુંબીજનોનો હીચકારો હુમલો

૨૦૦૪માં વેંચેલી જમીનમાંથી ભાયુભાગના ૨૭ લાખ આપ્યા તેમાંથી આગળના અઢી લાખ કાપી લીધા હોઇ મનદુઃખ હતું : ધોકા-ઢીકાપાટુનો માર માર્યોઃ વૃધ્ધને ગોઠણમાં ફ્રેકચરઃ પ્ર.નગર પોલીસે રાયોટનો ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૮: પોપટપરામાં રહેતાં કોળી વૃધ્ધ અને તેમના પરિવારજનો પર પંદર કોૈટુંબીક સગા અને એક રજપૂત શખ્સ મળી સોળ જણાએ મંડળી રચી ધોકા સાથે ઘરમાં ઘુસી હુમલો કરી તેમજ ઢીકા-પાટુનો માર મારતાં કોળી વૃધ્ધ, તેમના પત્નિ, બે પુત્રવધૂ અને નાના ભાઇના પત્નિ સહિત ૬ લોકોને ઇજા થઇ હતી. જેમાં એકને ગોઠણમાં ફ્રેકચર થઇ ગયું હતું. તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં રાયોટનો ગુનો નોંધાયો છે. અગાઉ વેંચાયેલી જમીનના પૈસાની ભાગબટાઇના મનદુઃખને લીધે આ ડખ્ખો થયાનું ખુલ્યું હતું.

હુમલામાં ઘાયલ પોપટપરા-૨માં રહેતાં ધનજીભાઇ ઠાકરશીભાઇ સિતાપરા (કોળી) (ઉ.૬૫), તેમના પત્નિ શાંતાબેન (ઉ.૬૦), નાના ભાઇના પત્નિ વિજ્યાબેન દિલીપભાઇ સિતાપરા (ઉ.૪૫), બે પુત્રવધૂ શારદાબેન કેશુભાઇ (ઉ.૩૮), સોનલબેન ભરતભાઇ  (ઉ.૩૫), ભત્રીજો સંજય દિલીપભાઇ (ઉ.૩૦) સિવિલમાં દાખલ થતાં પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ પી. બી. કદાવલાએ હોસ્પિટલે પહોંચી ધનજીભાઇની ફરિયાદ પરથી ૧૬ જણા સામે આઇપીસી ૩૨૪, ૩૨૩, ૩૨૫, ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૪૫૨, ૫૨૬ (૨), ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો હતો.

ધનજીભાઇએ આરોપી તરીકે પોપટપરા-૧૦માં રહેતાં નરસી ગોકળભાઇ સિતાપરા, નરસીનો જમાઇ, કાળીબેન નરસી, નાનજી ગોકળભાઇ સિતાપરા, મંજુબેન નાનજી, સંજય નાનજીભાઇ, રાજુ નાનજીભઇ, અરવિંદ ગોકળભાઇ, વિનુ ગોકળભાઇ, જ્યોત્સનાબેન વિનુભાઇ, સુનિલ વિનુભાઇ, સંજય અરવિંદભાઇ, મગન મોહનભાઇ, વાઘજી મોહનભાઇ અને ગોવિંદ લખમણભાઇ કંટારીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં આ વૃધ્ધે જણાવ્યું છે કે ૨૦૦૪માં મારા પિતાજી ઠાકરશીભાઇ હયાત હતાં. તેમના કહેવાથી મેં તેમના નામની જમીન વેંચીને તેમાંથી રૂ. ૨૭ લાખ મારા મોટાભાઇના દિકરા નાથા મોહનભાઇ તથા મગનભાઇ, વાઘજીભાઇ, રમેશભાઇ, રંભાબેન મોહનભાઇ, જીતુભાઇ મોહનભાઇ, મંજુબેન મોહનભાઇ, હકીબેન મોહનભાઇને ભાયુ ભાગમાં ઝઘડો તકરાર ન થાય એ માટે આપી દીધા હતાં.

૨૭ લાખમાંથી રૂ. અઢી લાખ મારે અગાઉ જમીન વેંચેલી તેના લેવાના બાકી નીકળતાં હોઇ જેથી તે પૈસા કાપીને મેં આ લોકોને આપ્યા હતાં. આ કારણે તેમની સાથે મનદુઃખ ચાલતું હતું. આ કારણે કાકા ગોકળભાઇ સોમાભાઇ સિતાપરાના ઘરે માતાજીનો મઢ હોઇ તેની અંદર પ્રવે કરવાની પણ મને ગોકળભાઇ અને તેના દિકરાઓએ મનાઇ કરી દીધી હતી. જેથી અવાર-નવાર માથાકુટ થતી હતી. અગાઉ ગોવિંદભાઇ કટારીયા (રેલનગરવાળા)એ સમાધાન કરાવવા પ્રયાસ કર્યો હતો. પણ સમાધાન થયું નહોતું. ગુરૂવારે હું પોપટપરા રોડ પર મારા નાના ભાઇની પાનની દૂકાન પાસે બેઠો હતો ત્યારે ગોવિંદ કટારીયા ત્યાંથી નીકળતાં મેં તેમને ઉભાર રાખી સમાધાન કેમ કરાવતા નથી? તેમ કહેતાં તેણે કહેલ કે હવે હું વચ્ચે નથી, થાય તે કહી લ્યો? તેમ કહી મોટા અવાજે બોલવા લાગતાં વાઘજીભાઇ, મોહનભાઇ, નાનજીભાઇ, અરવિંદભાઇ સહિતના આવી ગયા હતાં. આથી હું ગભરાઇને ઘરની અંદર જતો રહેતાં બધાએ ડેલી જોરજોરથી ખખડાવી હતી. એ પછી કુલ સોળ જણાએ થઇ ઘરમાં ઘુસી હુમલો કરી અમને બધાને મારકુટ કરી હતી. બીજા લોકો ભેગા થઇ જતાં અમને છોડાવ્યા હતાં અને હોસ્પિટલે ખસેડ્યા હતાં. મને જમણા પગે ઘુંટણમાં ફ્રેકચર થઇ ગયું છે.

ધનજીભાઇની ઉપરોકત ફરિયાદ પરથી પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:52 pm IST)