રાજકોટ
News of Wednesday, 17th November 2021

કોરોના મૃતકોની સહાય માટે મ.ન.પા. દ્વારા સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનમાં મૃત્યુ પ્રમાણપત્રની વ્યવસ્થા

ઇસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન માટે જન્મ - મૃત્યુ નોંધ વિભાગમાં વ્યવસ્થા : વેસ્ટ ઝોન માટે વેસ્ટ ઝોન કચેરીમાં વ્યવસ્થા : જરૂરી આધાર સાથે મૃત્યુ પ્રમાણપત્રો મેળવી કલેકટર કચેરીમાં ફોર્મ જમા કરાવવાનું રહેશે : સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ - આરોગ્ય સમિતિ ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયાનો અનુરોધ

રાજકોટ તા. ૧૬ : તાજેતરમાં રાજય સરકારશ્રી દ્વારા કોરોના મહામારીને કારણે અવસાન પામનાર વ્યકિત માટે રૂ.૫૦૦૦૦ની સહાય આપવાનું જાહેર કરવામાં આવેલ છે. આ માટે મૃતકનું મૃત્યુ પ્રમાણપત્ર કાઢી આપવાની કામગીરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ છે.

આ અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ તથા આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોવિડ-૧૯ની મહામારીમાં અવસાન પામેલ લોકોને સહાય મેળવવા માટે મરણના પ્રમાણપત્ર કાઢી આપવામાં આવશે જેના માટે કોવિડ-૧૯ની સહાય મેળવવા માટે અરજી સાથે રજુ કરવાના થતા મૃત્યુનું કારણ (MCCD) મેળવવા અરજદારશ્રીએ જન્મ-મરણ વિભાગમાં પરિશિષ્ટ-૧ મુજબનું ફોર્મ ભરવાનું રહેશે. જે ફોર્મ સાથે અરજદારે મૃતકનું મૃત્યુ પ્રમાણપત્ર જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઈશ્યુ કરવામાં આવેલ છે તે અને સાથે અરજદાર અને મૃતકનાં ફોટો આઈડી કયા કયા? જેમકે, આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ વિગેરેમાંથી કોઈપણ રજુ કરવાનું રહે છે. મૃતકના સ્વજનને મૃત્યુની નોંધણી સમયે ડોકટરશ્રી તરફથી રજુ કરવામાં આવેલ મરણ અંગેનું પ્રમાણપત્ર નમુનો ફોર્મનં-૦૪ રજુ કરવાનું રહેશે. હાલની રાજકોટ મહાનગરપાલિકાની કાર્યપધ્ધતિ મુજબ સેન્ટ્રલ ઝોન અને ઈસ્ટ ઝોનના પ્રમાણપત્રો સેન્ટ્રલ સેન્ટ્રલ ઝોનમાં તથા વેસ્ટ ઝોનના પ્રમાણપત્રો વેસ્ટઝોનના જન્મમરણ વિભાગો દ્વારા ઇસ્યુ કરવામાં આવશે.

વિશેષમાં જો કોઈ મૃતકના મૃત્યુ નોંધણી સમયે કોઈ પણ પ્રકારના મૃત્યુ કારણદર્શક ફોર્મ રજુ કરવામાં આવેલ ન હોઈ તેવા કિસ્સામાં સરકારશ્રીના ઠરાવ મુજબ પરિશિષ્ટ-૨ મુજબ અપ્રાપ્ય પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે. જે પણ ઉપરોકત ઝોન વાઈઝ આપવામાં આવશે. આ પ્રમાણપત્રથી મૃતકના સ્વજનને કોઈપણ પ્રકારે વાંધો કે તકરાર હોય તો મૃતકના સ્વજને સમિતિના અધ્યક્ષને અરજી કરવાની રહેશે. આ અરજી જન્મમરણ વિભાગમાં જમા કરવાની રહેશે. બાદમાં સમિતિ તે અંગે યોગ્ય પરિસ્થિતી મુજબ પરિશિષ્ટ-૬ મુજબ કોરોનાથી મૃત્યુ થયુ કે નહી તે બાબતનું પ્રમાણપત્ર ઇસ્યુ કરશે.

આ સહાયની અંતિમ પ્રક્રિયાના ભાગરૂપે મૃતકનાં વારસદારો કે અરજદાર આધારપુરાવા તરીકે મૃતકનું પ્રમાણપત્ર, જન્મ-મરણ વિભાગ દ્વારા આપેલ ફોર્મ ૪/૪ એની પ્રમાણિત નકલ, હોસ્પિટલ માંથી મળેલ મૃત્યુના કારણ અંગેનું પ્રમાણપત્ર, ઇન્ડોર કેસ પેપર, ઘરે મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં દર્દીએ જે તબીબની સારવાર લીધી હોય તેની સારવારની વિગતો, દર્દીના કરવામાં આવેલ જુદા જુદા રિપોર્ટસ વિગેરે પુરાવાઓ રજુ કરવાના રહેશે. જે અન્વયે રાજય સરકાર દ્વારા નિયમ અનુસાર કોવિડ-૧૯ની સહાય આપવામાં આવશે તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ તથા આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયાએ જણાવેલ છે.

(3:27 pm IST)