રાજકોટ
News of Saturday, 17th November 2018

ગીતાનગરમાં પારૂલબેન વ્યાસના ઘરમાં ૬૧ હજારની ચોરીઃ કામવાળીની ધરપકડ

દોઢ મહિના પહેલા સુધા પરમારે રોકડા ૧૬ હજાર અને ૪૫૬૫૭ના દાગીના ચોર્યા'તાઃ ભકિતનગર પોલીસે ભેદ ઉકેલ્યો

રાજકોટ તા. ૧૭: ઢેબર રોડ પર ગીતાનગર-૩માં રહેતાં પારૂલબેન પ્રવિણભાઇ વ્યાસ (ઉ.૫૨)ના ઘરમાં દોઢ મહિના પહેલા ૬૧ હજારની ચોરી થઇ હતી. આ ચોરીનો ભેદ ભકિતનગર પોલીસે ઉકેલી અગાઉ પારૂલબેનના મકાનમાં ઘરકામ કરવા આવતી મહિલા સુધાબેન જગદીશભાઇ પરમાર નામની મહિલાને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે.

પારૂલબેન વ્યાસના ઘરમાં તા. ૨૬/૯ના રોજ રૂ. ૧૬ હજારની રોકડ તથા રૂ. ૪૫૬૫૭ના સોનાના દાગીનાની ચોરી થઇ હતી. આ અંગે જે તે વખતે ફરિયાદ કરી નહોતી. બાદમાં શંકા પરથી અરજી કરવામાં આવી હતી. તેના આધારે તપાસ થતાં આ ચોરી ગોકુલધામ પાછળ સરસ્વતિનગરમાં રહેતી સુધાબેન જગદીશભાઇ પરમારે કર્યાનું જણાતાં ભકિતનગર પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(3:45 pm IST)