બે ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાંચઃ ધ્રોલ-મહુવાના બે શખ્સની ધરપકડ
પ્રતાપસિંહ ઝાલા, ફિરોઝભાઇ શેખ અને રવિરાજસિંહ પરમારની બાતમીઃ રોકડ, દાગીનાના ટૂકડા કબ્જેઃ વીસ દિવસ પહેલા મનહરપ્લોટ અને માસ્તર સોસાયટીમાં હાથફેરો કર્યો'તો
રાજકોટ તા. ૧૭: ક્રાઇમ બ્રાંચે બે દેવીપૂજક શખ્સો વગા ધરમશી જખાણીયા (ઉ.૩૫-રહે. ધ્રોલ ચામુંડા પ્લોટ) તથા સુરશે લાલુભાઇ ચારોલીયા (ઉ.૨૦-રહે. કિસાનપરા ચોક ફૂટપાથ પર, મુળ વડલીખારા તા. મહુવા ભાવનગર)ને બે ઘરફોડ ચોરીના ગુનામાં પકડી લીધા છે.
આ બંનેએ વીસેક દિવસ પહેલા મનહરપ્લોટ-૧૩માં અલ્કા નામના મકાનમાં ચોરી કરી હતી તથા ભકિતનગર પાસે માસ્તર સોસાયટીમાં એક મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. તેની પાસેથી રૂ. ૧૪૩૦૦ રોકડા, લોખંડની પેટી, ધાતુના અલગ-અલગ ટૂકડા, દાગીનાના ટૂકડા કબ્જે કરવામાં આવ્યા છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, ડીસીપી રવિકુમાર સૈની, એસીપી જે. એચ. સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવી તથા ડી. પી. ઉનડકટની રાહબરી હેઠળ પીએસઆઇ મહાવીરસિંહ બી. જાડેજા, સોકતભાઇ, અમીતભાઇ, હરદેવસિંહ, યોગેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સાથેના હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, ફિરોઝભાઇ શેખ, કોન્સ. રવિરાજસિંહ પરમારની બાતમી પરથી બંને શખ્સને જામનગર રોડ એફસીઆઇ ગોડાઉન જવાના રસ્તેથી પકડી લીધા હતાં. વધુ કોઇ ગુનામાં સંડોવણી છે કે કેમ? તે અંગે પીએસઆઇ એમ. બી. જાડેજા વધુ તપાસ કરે છે.