રાજકોટ
News of Wednesday, 17th October 2018

કાઠીયાવાડ બાલાશ્રમમાંથી ૧૭, ૧૩ અને ૭ વર્ષના ત્રણ છોકરા વંડી ઠેંકી ભાગી ગયા

ગઇકાલે બપોરે સવા ત્રણેક વાગ્યે બનાવઃ માલવીયાનગર પોલીસમાં સંસ્થાના સુપ્રિન્ટેન્ડન્ટ સુરેશભાઇ ખાંટે અપહરણની ફરિયાદ નોંધાવીઃ દિપક લોખંડનો ઘોડો લાવ્યો, દિવાલ પાસે રાખ્યો બાદમાં વારાફરતી ત્રણેય કૂદી ગયાઃ સીસીટીવીમાં દેખાયાઃ ૧૭ વર્ષના ગોૈતમ ગોૈતમને લખનોૈથી એક મહિના પહેલા જ રાજકોટ મોકલાયો'તોઃ અગાઉ જુનાગઢ, ચીખલીથી ભાગી ગયો હતોઃ જ્યારે બે નેપાળી બાળકોના માતા-પિતાના અગાઉ રાજકોટમાં દાઝી : જવાથી મોત નિપજ્યા હતાં

રાજકોટ તા. ૧૭: ગોંડલ રોડ પર એ. વી. જસાણી સ્કૂલ પાસે આવેલા કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ કુમાર છાત્રાલયમાં રખાયેલા ૧૭, ૧૩ અને ૭ વર્ષના ત્રણ બાઇકો ગઇકાલે બપોરે છાત્રાલયની વંડી ટપી ભાગી જતાં સગીર ગૂમ થવાના કિસ્સામાં પોલીસે તાકીદે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બે નેપાળી બાળકો સગા ભાઇઓ છે. તેના માતા-પિતા બંનેના દાઝી જતાં અગાઉ મોત નિપજ્યા હતાં.

બનવ સંદર્ભે કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ કુમાર છાત્રાલયમાં આઠ વર્ષથી સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતાં સુરેશભાઇ રાણાભાઇ રાઠોડ (ખાંટ) (ઉ.૫૮)એ માલવીયાનગર પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયું છે કે તેની સંસ્થામાં રખાયેલા ત્રણ બાળકો ગોૈતમ ઉર્ફ છોટુ દિલીપભાઇ પટેલ (ઉ.૧૭), દિપક રતનબહાદુર બાદી (નેપાળી) (ઉ.૧૩) તથા તેનો ભાઇ આદીત રતનબહાદુર બાદી (ઉ.૭) મંગળવારે બપોરે સંસ્થાની હોસ્ટેલની સાઇડની ઘ્વિાલ ટપીને નીકળી ગયા બાદ ગૂમ થયા છે. સગીર ગૂમ થવાનો મામલો હોઇ પોલીસે તાકીદે આઇપીસી ૩૬૩ મુજબ અપહરણનો ગુનો દાખલ કર્યો છે.

સુરેશભાઇ રાઠોડે જણાવ્યા મુજબ આ બાલાશ્રમમાં ૭૮ બાળકોને રાખવામાં આવ્યા છે. આ તમામ બાળકો એવા છે જેના વાલીવારસ કે સગા સંબંધી કોઇ નથી. ગઇકાલે પોતે સવા ત્રણેક વાગ્યે કવાર્ટરમાં આરામ કરતાં હતાં ત્યારે કર્મચારી ભરતભાઇ મકવાણાએ ફોન કરીને જાણ કરી હતી કે ત્રણ છોકરા ગોૈતમ, દિપક અને આદીત દિવાલ ટપીને થેલા લઇને નીકળી ગયા છે. બારીમાંથી તેણે આ ત્રણેયને ભાગતા જોયા હતાં. આ ખબર મળતા જ પોતે એકટીવા લઇ તુર્ત જ બાળકોને શોધવા નીકળી ગયા હતાં. ઢેબર રોડ તેમજ આસપાસમાં બધી જગ્યાએ શોધખોળ કરી હતી. પરંતુ પત્તો મળ્યો નહોતો.

સંસ્થામાં સીસીટીવી કેમેરા લગાવાયા હોઇ તેના ફૂટેજ જોતાં સોૈ પહેલા દિપક નાનો છોકરો લોખંડનો ઘોડો લઇને આવતો અને દિવાલ પાસે રાખતો દેખાય છે. એ પછી વારાફરતી દિવાલ પર ચડી રેલ્વેના પાટા પર કૂદકા મારી ભાગી જતાં દેખાય છે. ગોૈતમ ઉર્ફ છોટુને એક મહિના પહેલા જ યુપી લખનોૈના ચાઇલ્ડ વેલફેર કમિટીમાંથી અહિ ટ્રાન્સફર કરાયો હતો. આ છોકરો અગાઉ જુનાગઢ તથા ચીખલીની સંસ્થામાંથી પણ ભાગી ગયો હતો. જ્યારે દિપક અને આદિત બંને સગા ભાઇઓ છે. તેને જુનાગઢ ચાઇલ્ડ વેલફેર કમિટીમાંથી સાત મહિના પહેલા રાજકોટ ટ્રાનસફર કરવામાં આવ્યા હતાં.

પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરી હેઠળ પીએસઆઇ એચ. એમ. જાડેજા અને ટીમે તપાસ હાથ ધરી છે. બાળકો વિશે કોઇને માહિતી હોય તો પોલીસને જાણ કરવા જણાવાયું છે. 

 

(12:04 pm IST)