કોરોનાના કહેર વચ્ચે સિવિલ હોસ્પિટલની ફાર્માસિસ્ટની ટીમ પણ ૨૪ કલાક ખડેપગે
કોવિડના દરેક વિભાગમાં ધડાધડ પહોંચાડે છે દવા-ઇન્જેકશન સહિતનો જથ્થો
રાજકોટ તા. ૧૭: સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કોવિડ સેન્ટરમાં તબિબો, નર્સિંગ સ્ટાફ અને બીજા કર્મચારીઓ કોરોના વોરિયર બની સતત ફરજ બજાવી રહ્યા છે. આ બધાની સાથે સિવિલ હોસ્પિટલના ફાર્માસિસ્ટની ટીમ પણ કોરોના વોરિયર્સ તરીકે સતત ચોવીસ કલાક ફરજ બજાવી રહ્યા છે અને કોવિડ સેન્ટરમાં જરૂરી તમામ દવાનો જથ્થો પુરો પાડી રહ્યા છે.
સિવિલના કોવિડ સેન્ટરમાં જે દવાઓની જરૂરિયાત હોય છે તેનું લિસ્ટ સતત ફાર્માસિસ્ટ વિભાગમાં અપડેટ થતું રહે છે અને એ સાથે જ દવાઓ, ઇન્જેકશન, બાટલા સહિતનો સ્ટોક ત્યાં પહોંચાડી દેવામાં આવે છે. કોવિડના તમામ સેન્ટર પરથી દિવસ રાત ગમે ત્યારે દવા સહિતના સ્ટોકની માંગણી થતી રહે છે. આ કારણે રાત્રે પણ ફાર્માસિસ્ટની ટીમ કાર્યરત હોય છે. સ્ટોર રૂમના ઇન્ચાર્જ પરેશભાઇ દેસાઇ તથા સાથેના રાજેન્દ્રભાઇ રાઠોડ, દેવેન્દ્રભાઇ કશ્યપ, ભનાભઇ મેટલીયા, એમ.આર. જાડેજા, વી. કે. શિંગાળા, વાઘજીભાઇ મકવાણા સહિતની ટીમ ૨૪*૭ કોરોના વોરિયર્સ માટે ખડેપગે રહે છે અને ડોકટર્સ તથા નર્સિંગ સ્ટાફની જેમ જ પોતાન ફરજ અદા કરે છે.