રાજકોટ
News of Thursday, 17th September 2020

રાજકોટ ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી. કે. ગઢવી કોરોનાથી સંક્રમિતઃ તબિયત એકદમ ટનાટન

સામાન્ય તાવ જેવું હોઇ રિપોર્ટ કરાવતાં પોઝિટિવઃ હોમઆઇસોલેટ થયાઃ ઝડપથી સાજા થઇ ફરી ફરજ પર જોડાઇ જશે તેવી ખેવના વ્યકત કરી

રાજકોટ તા. ૧૯: શહેરની ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વી. કે. ગઢવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થતાં સાથી અધિકારીઓ, કર્મચારીઓમાં ચિંતા પ્રસરી ગઇ હતી. જો કે પીઆઇ વી. કે. ગઢવીને સાવ સામાન્ય તાવના સિમ્પટન હતાં. તેમની તબિયત એકદમ ટનાટન છે. તેઓ હોમ આઇસોલેટ થયા છે.

અગાઉ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ. એમ. ગઢવીએ ચાર્જ છોડ્યો તેના બે દિવસ બાદ તેઓ સંક્રમિત થયા હતાં. તેમના પરિવારના સભ્યોને પણ કોરોના લાગુ પડ્યો હતો. બાદમાં તમામ પરિવારજનો કોરોનાની લડતમાંવિજયી થયા હતાં. તેમની જગ્યાએ પીઆઇનો ચાર્જ સંભાળનારા વી. કે. ગઢવીએ 'અકિલા'ને જણાવ્યું હતું કે પરમ દિવસે થોડુ તાવ જેવું હતું. સામાન્ય તાવ હોઇ રૂટીન ચેકઅપ કરાવ્યું હતું. પણ સાથે કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ અપાતાં તે કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હોમ આઇસોલેટ થયેલ છું. પોતાને બીજી કોઇ તકલીફ ન હોવાનું અને કોઇ સિમ્પટન પણ આજે નહિ હોવાનું પણ તેમણે સ્પષ્ટ કર્યુ હતું. તેમને ઉચ્ચ અધિકારીઓ, સાથી અધિકારીઓ, કર્મચારીઓ ઝડપથી સાજા થઇ જવા શુભેચ્છાના મેસેજ પાઠવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ખુબ ઝડપથી પોતે ફરીથી ફરજ પર હાજર થઇ જશે. તેમના સંપર્કમાં આવેલા સહુ કોઇને રિપોર્ટ કરાવી લેવા અપિલ કરી છે.

નોંધનીય છે કે અગાઉ આ બ્રાંચના પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા તેમજ ટીમના બીજા કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા હતાં. પીએસઆઇ ધાંધલ્યાએ તો સાજા થયા પછી પ્લાઝમા ડોનેટ પણ કર્યુ છે. બે દિવસ પહેલા હેડકોન્સ. મયુરભાઇ પટેલ પણ કોરોનાથી સંક્રમિત થયા હોઇ તે પણ આઇસોલેટ થયા છે.

(11:06 am IST)