ગોંડલ રોડ પર ટ્રકે બાઇકને ઉલાળતા શાપરના મનિષાબેન ડામોરનું મોત
દિપકભાઇ ચાવડાના બાઇકમાં બેસી રાજકોટ મજુરીએ આવતી વખતે બનાવ
રાજકોટ તા. ૧૭: ગોંડલ રોડ પર માલધારી ફાટક પાસે સવારે ટ્રકે બાઇકને ઉલાળતાં શાપરથી રાજકોટ મજૂરી માટે આવી રહેલા યુવાન અને પાછળ બેઠેલા મહિલાને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં યુવાનને પ્રાથમિક સારવાર અપાઇ હતી. જ્યારે મહિલાને દાખલ કરાયા હતાં. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
જાણવા મળ્યા મુજબ શાપર વેરાવળમાં ખોડિયાર હોટેલ પાસે રહેતાં મનિષાબેન સોમાભાઇ ડામોર (ઉ.૩૫) સહિતના મજૂરો રાજકોટ સ્વાતિ પાર્કમાં કડીયા કામની સાઇટ પર કામે આવી રહ્યા હોઇ મનિષાબેન અન્ય મજૂર દિપકભાઇ કચરાભાઇ ચાવડાના બાઇકમાં બેઠા હતાં. બીજા મજૂરો અન્ય વાહનોમાં હતાં. દરમિયાન ગોંડલ રોડ માલધારી ફાટક પાસે ટ્રકે દિપકભાઇના બાઇકને ઉલાળતાં મનિષાબેનને ગંભીર ઇજા થઇ હતી. તેનું રાજકોટ સિવિલમાં મોત નિપજતાં આજીડેમના એએસઆઇ નરેન્દ્રભાઇ ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર મનિષાબેનને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.