થોરાળાના મનહરપરાની કિશોરી ભેદી સંજોગોમાં લાપતા
પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
રાજકોટ તા. ૧૭ : થોરાળા પોલીસ સ્ટેશન સામે આવેલા મનહરપરામાં રહેતી કોળી કિશોરી ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા થોરાળા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ મનહરપરામાં રહેતો દિનેશભાઇ ભીખુભાઇ બાવળિયા (ઉ.૪૬) ના પત્નીનું થોડા સમય પહેલા અવસાન થયા બાદ પોતે તેના બે પુત્ર અને એક પુત્રી સાથે રહી છે અને મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દિનેશભાઇ ગત તા.૧૧/૮ના રોજ પોતે કામે ગયા હતા અને બે પુત્ર અને તેની ૧૩ વર્ષની પુત્રી ઘરે હતા. સાંજે પરત આવ્યા ત્યારે દીકરી બાબતે પુછતા તે ઘરેથી કોઇને કહ્યા વગર નિકળી ગઇ છે. તેમ પુત્રએ જણાવતા તેણે પાડોશમાં તથા આસપાસના વિસ્તારમાં અને સગા સબંધીને ત્યાં તપાસ કરી હતી પરંતુ કિશોરીનો કોઇ પત્તો ન લાગતા તેણે થોરાળા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો દાખલ કરી પીએસઆઇ આર.એસ.કોટવાલે તપાસ હાથ ધરી છે.