સોમવારથી પ્રદ્યુમન પાર્ક ઝુ ખુલશે
સરકારની ગાઇડલાઇન હેઠળ સેનીટાઇઝ, થર્મલ ગનથી ટેમ્પરેચર મપાશે : સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે : પ્રદિપ ડવ, પુષ્કર પટેલ, ઉદિત અગ્રવાલની જાહેરાત
રાજકોટ તા. ૧૭ : કોરોનાની બીજી લહેર અત્યંત ઝડપથી ફેલાતા સરકારની સૂચનાથી બંધ થયેલ પ્રદ્યુમન પાર્કમાં આવેલ ઝૂ હવે અનલોકની પ્રક્રિયામાં સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી ખુલ્લા રાખવાની સરકારે છૂટ આપતા સોમવારથી તા. ૨૧થી પ્રદ્યુમન પાર્ક ઝૂ કોરોનાની ગાઇડલાઇન હેઠળ શરૂ કરવામાં આવનાર હોવાનું મેયર સહિતના પદાધિકારીઓએ જણાવ્યું હતું.
મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, બાગ બગીચા સમિતિના ચેરમેન અનિતાબેન ગોસ્વામીએ સંયુકત યાદીમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે તા.૧૯ માર્ચથી મુલાકતીઓ માટે ઝૂ બંધ રાખવામાં આવેલ હતું. હાલમાં, કોરોનાની સ્થિતિ સારી છે તેમજ સરકારશ્રી દ્વારા બાગ બગીચા વિગેરે ખોલી નાંખવાની મંજુરી આપવામાં આવેલ હોય જેના અનુસંધાને તા.૨૧ જૂન સોમવાર પ્રાણીઉદ્યાન કોરોનાની ગાઈડલાઈન સાથે ફરી શરૂ કરવામાં આવશે.
પ્રાણીઉદ્યાનની મુલાકાતે આવનાર લોકોને સેનેટાઈઝ કરવામાં આવશે તથા થર્મલ ગનથી ટેમ્પરેચર માપવામાં આવશે. માસ્ક પહેરવું ફરજીયાત રહેશે તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. પ્રાણીઉદ્યાનનો સમય સવારે ૯.૦૦ થી સાંજે ૬.૦૦ વાગ્યાનો રહેશે, તેમજ ઈલેકટ્રીક કાર પણ ચાલુ રખાશે. દર શુક્રવારે બંધ રહેશે.
રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે. CZA નવી દિલ્હીની ગાઈડલાઈન મુજબ દર વર્ષે નવા નવા વન્યપક્ષીઓ, વન્યપ્રાણીઓ વિનિમય હેઠળ અન્ય ઝૂ પાસેથી મેળવી ઝૂ નો વિકાસ કરવામાં આવે છે.
ઝૂ નો ટોટલ વિસ્તાર ૧૩૭ એકરમાં છે અને નૈસર્ગિક વાતાવરણમાં પ્રાકૃતિક પર્યાવરણનો અહેસાસ થાય છે. ઝૂ ખાતે હાલ જુદી જુદી ૫૫ પ્રજાતીના કુલ ૪૪૬ પ્રાણીઓ, પક્ષીઓ આવેલ છે.