આવાસ યોજનાના હપ્તા ભરવાની મુદ્દતમાં થઇ શકે છે વધારો : મેયરનો નિર્દેશ
પોપટપરામાં ૧૮ લાખના ખર્ચે વરસાદી પાણી નિકાલની પાઇપ નાખવાનું શરૂ
રાજકોટ તા. ૧૬ : શહેરમાં લોકડાઉનની સ્થિતિમાં મ્યુ. કોર્પોરેશનની આવાસ યોજનાના લાભાર્થીઓ હપ્તા ભરી શકયા નહી હોવાથી આ હપ્તા ભરવાની મુદ્દતમાં વધારો કરવા તંત્ર વિચારી રહ્યાનો નિર્દેશ મેયર બીનાબેન આચાર્યએ આપ્યો હતો.
આ અંગે મેયરશ્રીએ જણાવેલ કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે બેંક લોનના હપ્તા ભરવાની મુદ્દત વધારી છે ત્યારે મ્યુ. કોર્પોરેશન પણ આવાસ યોજનાના લાભાર્થીઓના હપ્તા ભરવાની મુદ્દતમાં વધારો કરી શકે કે કેમ? તે દિશામાં ગંભીરતાપૂર્વક વિચારાઇ રહ્યું છે.
આ તકે મેયરશ્રીએ વધુમાં જાહેર કર્યું હતું કે, હવે લોકડાઉનમાં થોડી છુટછાટ મળી રહી છે તેથી મ્યુ. કોર્પોરેશને પણ કેટલાક વિકાસકામો શરૂ કરી દીધા છે.
વોર્ડ નં. ૩માં આવેલ પોપટપરા મિયાણાવાસમાં દર ચોમાસે પાણી ભરાયાની સમસ્યા ઉકેલવા માટે આ વિસ્તારમાં વરસાદી પાણી નિકાલ માટેની સ્ટોર્મ વોટર ટ્રેનેજ પાઇપ નાંખવાનું કામ ૧૮ લાખના ખર્ચે શરૂ કરાયું છે.
તેવી જ રીતે રેલનગર વિસ્તારની મેરી ગોલ્ડ વસાહત પાસે મેટલીંગ રોડનું કામ પણ શરૂ કરી દેવાયું છે.