રાજકોટ
News of Thursday, 17th May 2018

વાવાઝોડુ 'સાગર' ઉદ્દભવ્યુ : ભારતને અસરકર્તા નથી

દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં બે દિવસ પહેલા લો પ્રેશર બનેલુ જે મજબૂત બની વાવાઝોડામાં પરિવર્તિત થઈ એડનની ખાડીમાં પહોંચ્યુ છે જે ભારતના દરિયાકિનારાથી ૨૪૦૦થી ૨૮૦૦ કિલોમીટર દૂર છે અને દૂર જાય છે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૧૭ : જાણીતા વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ જણાવે છે કે બે દિવસ પહેલા આપેલી આગાહીમાં જે લો પ્રેશર હતું તે મજબૂત બની ડિપ્રેશનમાં પરિવર્તિત થયુ છે અને પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી યમન અને સોમાલ્યાની વચ્ચે એડનની ખાડીમાં પ્રવેશ કર્યો છે. હાલમાં આ સિસ્ટમ્સ એડનની ખાડીમાં છે અને વાવાઝોડામાં પરિવર્તિત થયુ છે. આ વાવાઝોડાનું નામ હવામાન ખાતા દ્વારા 'સાગર' રાખવામાં આવ્યુ છે. જેનું લોકેશન ૧૩ ડિગ્રી નોર્થ, ૪૮.૫ ઈસ્ટ અને ૯૯૩ મિલીબાર પ્રેશર છે.

આ સિસ્ટમ્સ ભારતથી ઘણી દૂર છે અને ભારતથી ઘણી દૂર જાય છે. પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ તરફ ગતિ કરે છે. હવામાન ખાતાના આંકડા દ્વારા ૬૫થી ૭૫ કિ.મી. અને ઝાટકાના પવન ૮૫ કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યા છે. આ સિસ્ટમ્સ ૧૨ દિવસ મજબૂત થવાની શકયતા છે. બાદ ક્રમશઃ નબળુ પડી જશે. આવતા એક - બે દિવસ ખાડીમાં જ રહેશે.

હાલની જે પોઝીશન છે તે સૌરાષ્ટ્ર - ગુજરાત - ભારતના દરિયાકિનારાથી ૨૪૦૦ થી ૨૮૦૦ કિલોમીટર દૂર છે જેથી આ સિસ્ટમ્સ ભારતને અસરકર્તા નથી. પરંતુ બે દિવસ પહેલા આપેલી આગાહી મુજબ કચ્છ- પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાકિનારે અને ઉત્તર ગુજરાતમાં પવનનું જોર રહેશે. તે મુજબ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ વાવાઝોડાની અસર ભારતમાં થવાની જ નથી. આમ છતાં હવામાન ખાતાની સુચના અનુસાર વર્તવુ.

(3:16 pm IST)