રાજકોટ
News of Thursday, 17th May 2018

ભારત સિવાય કચ્છ અને દુનિયાભરમાં એક સાથે રમઝાન માસનો 'ચાંદો' ઉગ્યોઃ ઈસ્લામી જગતમાં સેંકડો વર્ષમાં પ્રથમવાર આશ્ચર્યજનક ઘટના

કચ્છમાં અનેક સ્થને 'બીજ' નજરે ચડતા આજે પ્રથમ રોઝોઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કાલે પ્રથમ રોઝોઃ કચ્છના ચંદ્રદર્શનના આધારે 'ગુજરાત ચાંદ કમિટી'એ જાહેરાત કરતા ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ આજે પ્રથમ રોઝો

રાજકોટ, તા. ૧૭ :. ગઈકાલે સાંજે સૌરાષ્ટ્ર આખામાં આકાશ સ્વચ્છ હોવા છતાં કયાંય પણ 'ચંદ્રદર્શન' નહીં થતા રમઝાન માસનો આવતીકાલ શુક્રવારથી પ્રારંભ થનાર છે ત્યારે 'કચ્છ'માં ચંદ્રદર્શન થઈ જતા ત્યાં આજે પ્રથમ રોઝો થઈ ગયો છે.

બીજી તરફ ભારતભરમાં કયાંય ચંદ્રદર્શન થયેલ નથી તો બીજી બાજુ ભારત સિવાય કચ્છ સહિત દુનિયાભરમાં ગઈ સાંજે એક સાથે રમઝાન માસનો 'ચાંદો' ઉગતા સેંકડો વર્ષોમાં ઈસ્લામી જગતમાં પ્રથમવાર આવી આશ્ચર્યજનક ઘટના ઘટવા પામી છે.

જ્યારે  'ગુજરાત ચાંદ કમિટી'એ કચ્છમાં થયેલા ચંદ્રદર્શનના આધારે જાહેરાત કરતા ગુજરાત, સૌરાષ્ટ્ર ના કેટલાક વિસ્તારોમાં પણ આજે પ્રથમ રોઝો થયો છે. જો કે ઈસ્લામી જગતમાં આ ઘટનાને 'કુદરતનો કરિશ્મો' ગણવામાં આવી રહ્યો છે તો બીજી તરફ એ પણ ખૂબી સર્જાય છે કે ભારતભરના દારૂલ ઊલૂમો, શરીઅતની સંસ્થાઓ અને તેના મુફતીઓ તથા ઉલેમાઓ દ્વારા પોતાના 'લેટર પેડ' ઉપર બુધવારે સાંજે ચંદ્રદર્શન નહીં થયાની અને તેની શરઈ ગવાહી કે પુરાવો નહીં મળવાનો ઉલ્લેખ કરી જાહેરાત કરતા 'વોટસએપ' ઉપર આવા 'લેટર પેડ'ની ભરમાર રહેવા પામી હતી.

અત્રેએ નોંધનીય છે કે, મક્કા શરીફ અને મદીના શરીફ સહિતના આરબ દેશોમાં ચંદ્રદર્શન થયાના બીજા દિવસે ખાસ કરીને ભારતભરમાં ચંદ્રદર્શન થતું આવ્યુ છે અને એ પરંપરા રહી છે પણ આ વખતે દુનિયાભરમાં એક સાથે રમઝાન માસનો પ્રારંભ થયો છે તેમાં પણ ભારત દેશમાં એ પરંપરા જળવાઈ રહી છે પણ કચ્છ તેમાંથી બાકાત થઈ ગયુ છે.

દુનિયાભરમાં જે દેશોમાં ચંદ્રદર્શન થયુ છે તે ભારત કરતા એક દિવસ આગળ ચાલી રહ્યા હતા એટલે કે ભારતમાં આજે ઈસ્લામી પંચાગના ૮ મા મહીના શાબાનની ૩૦મી તારીખ છે અને જે તે દેશોમાં ગઈકાલે ૩૦મી તારીખ હતી.

આ દેશોમાં સાઉદી અરેબીયા, સંયુકત આરબ અમીરાત, અખાતી દેશો, ઈન્ડોનેશીયા, મલેશિયા, ઓસ્ટ્રેલીયા, જાપાન, બ્રુનેઈ, સિંગોપાર, સલ્તનત ઓફ ઓમાન, કુવૈત, ઈરાક, ઈરાન, પેલેસ્ટાઈન, બ્રિટન-યુકે સહિતના દેશોમાં આજથી રમઝાન માસ શરૂ થયો છે.

જો કે આ દેશોમાં ૧૫ મી મે ના સાબાનથી માસની ૨૯મી તારીખે ચંદ્રદર્શન નહીં થતા ગુરૂવારે પ્રથમ રોઝાની જાહેરાત થઈ હતી, પરંતુ તેમા પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકાનો પણ સમાવેશ થઈ જતા અને કચ્છ સિવાય ભારત બાકી રહી જતા ચોંકાવનારી બીના બની છે.

જો કે ઈસ્લામી માસ ૨૯ કે ૩૦ દિવસનો હોય છે અને ૨૯મા દિવસે ચંદ્રદર્શન થાય તો બીજે દિ' નવો મહીનો ચાલુ થઈ જાય અને ન થાય તો ૩૦ દિ' પુરા કરી લેતા આપોઆપ નવો મહીનો ચાલુ થઈ જાય છે.(૨-૧)

'કાઝી-એ-ગુજરાત' દ્વારા 'શરઈ' ગવાહી નહીં મળ્યાની જાહેરાત

રાજકોટ, તા. ૧૭ :. ગઈકાલે સાંજે સૌરાષ્ટ્રભરમાં આકાશ સ્વચ્છ હોવા છતાં ચંદ્રદર્શન કયાંય પણ કોઈને પણ જોવામાં નહી આવતા અને કચ્છમાં બીજ દેખાવાની ઘટનાથી અસમંજસ ભરી સ્થિતિ સર્જાવા પામી હતી તે દરમિયાન કાઝી એ ગુજરાત હઝરત કિબ્લા સૈયદ સલીમબાપુ નાનીવાલા સહિતના અન્ય ઉલેમાઓ દ્વારા ચંદ્ર દેખાયાની કોઈ શરઈ ગવાહી કે પુરાવો નહીં મળ્યાનું જણાવી શુક્રવારે સૌરાષ્ટ્રમાં પહેલો રોઝો હોવાની જાહેરાત કરતા અને વોટસએપમાં સંદેશો ફેલાય જતા આ ચર્ચા છે કે રાત્રે ૧ વાગ્યે પુરી થઈ હતી. અત્રે એ નોંધનીય છે કે જે જગ્યાએ ચંદ્ર દેખાય અને તે ચંદ્ર જોનાર બીજી વ્યકિતને લેખિત કરી આપે તેને શરઈ ગવાહી કહે છે શરઈ ગવાહી એટલે પૈગમ્બર સાહેબના ફરમાન અનુસાર ધર્મનિતિ (શરીઅત) મુજબનું લેખન સાક્ષી મળવુ જોઈએ.(૨-૧)

(11:01 am IST)