બેડીનાકા વિસ્તારમાં ૪પ વર્ષથી વધુ વયના ૧૬૯ લોકોને રસી અપાઇ
રાજકોટ તા. ૧૭ : રાજકોટ મહાનગર પાલિકા અને સુર્યમુખી બજરંગ મંડળ તથા રઘુવંશી પરિવારના સંયુકત ઉપક્રમે રાજકોટના બેડીનાકામાં આવેલ વરિયા પ્રજાપતિની જ્ઞાતિની વાડી ખાતે વિનામૂલ્યે કોવિડ-૧૯ રસીકરણ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ સ્વ. વિજયાબેન અને સ્વ.છગનભાઇ કરમણભાઇ સીતાપરાની સ્મૃતિમાં યોજાયો હતો. જેમાં બેડીનાકા વિસ્તારના ૧૬૯ જેટલા લોકોએ કોરોનાની રસી લીધી હતી. આ કેમ્પમાં રસી લીધા બાદ રક્ષાબેન જૈનેએ જણાવ્યું હતું કે કોરોનાની રસી પણ અમને અમારા ઘર આંગણે જ નિઃશુલ્ક આપવામાં આવી છે. જેથી અમારે બીજે દૂર જવું પડયુ નથી. સરકાર દ્વારા કોરોનાની મહામારીને નાથવા અનેક વિધ પગલા લેવામાં આવી રહયા છે. કોરોનાની મહામારીમાં રસીકરણ કરાવીને પોતે અને પરિવારને સુરક્ષિત કરી સરકાર અને કર્મયોગીઓના રસીકરણના સેવા યજ્ઞમાં સૌએ જોડાવું જોઇએ. તેવી અપીલ તેઓએ કરી હતી. આ કેમ્પને સફળ બનાવવા મહાનગર પાલિકાના આરોગ્ય સ્ટાફ ઉપરાંત હસમુખભાઇ સીતાપરા, વિજયભાઇ કોશિયા, વિજયભાઇ કાબાણી, દિનેશ ઝાલા, કિરિટભાઇ શેઠ વગેરે કર્મયીગીઓએ જહેમત ઉઠાવી હતી.