રાજકોટ
News of Monday, 16th April 2018

ઉંદર- ગરોળીવાળા સડેલા ચોખા 'કલેકટર'ના ટેબલ ઉપર કોંગી આગેવાનોએ નાંખતા ધબધબાટી બોલી

કલેકટરે આગેવાનોને આવી રીતે રજૂઆત ન કરાય કહીં 'ગેટઆઉટ' કહી દેતા સન્નાટોઃ પહેલા માળે ધમાલ મચી ગઈઃ બધાને બહાર કઢાયાઃ હવે ઉગ્ર આંદોલનની ચીમકીઃ કલેકટર કચેરીએ ધામા

રાજકોટ, તા. ૧૬ :. હાથીખાના શેરી નં. ૧-૫માં આવેલ સસ્તા અનાજના દુકાનદાર ખોડા હાજા સાગઠીયાની દુકાને ગરીબોને આપવાના થતા ચોખાની ગુણીમાંથી મરેલા ઉંદરો-ગરોળી નીકળી પડતા કોંગી આગેવાનો રણજીત મુંધવા, જશવંતસિંહ ભટ્ટી, કેયુર મસરાણી દોડી ગયા હતા.

આ આગેવાનો અને કાર્ડ હોલ્ડરોએ દુકાનદાર સાથે ધબધબાટી બોલાવ્યા બાદ કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા અને કલેકટર રાહુલ ગુપ્તાની ચેમ્બરમાં ધસી જઈ તેમના ટેબલ ઉપર ચોખાનો ઘા કરી ચોખા ઠાલવી દેતા સન્નાટો પ્રસરી ગયો અને આ ઘટના બનતા કલેકટર ઉકળી ઉઠયા હતા.

કલેકટર રાહુલ ગુપ્તાએ આગેવાનોને આ રજૂઆત કરવાની રીત છે? તેમ કહી ગેટઆઉટ એવુ જણાવતા મામલો ઉગ્ર બની ગયો હતો અને કલેકટર તથા કોંગી આગેવાનો વચ્ચે જોરદાર શાબ્દીક ટપાટપી સર્જાઈ ગઈ હતી. આ પછી એડી. કલેકટર શ્રી હર્ષદ વોરા કલેકટરની ચેમ્બરમાં દોડી ગયા હતા.

કલેકટરે ગેટઆઉટ કહેતા અને મામલો બીચકતા, તમામ કોંગી આગેવાનોને બહાર કઢાયા હતા. આગેવાનોએ જણાવ્યુ હતુ કે, કલેકટરે અમને સાંભળવા પડશે, નહીં તો હજુ વધુ ઉગ્ર આંદોલન કરાશે અને અહીં જ કલેકટર કચેરીમાં ધામા નાખશે કહી ૧ લા માળે આંદોલન ચાલુ કરી દીધુ હતું. આ પછી આ આગેવાનો બીજા માળે ડીએસઓ સમક્ષ રજૂઆત માટે દોડી ગયા હતા અને ત્યાં પણ ઉગ્ર માથાકુટ સર્જાઈ હતી.

આ લખાય છે ત્યારે કોંગી આગેવાનો બપોરે ૨II વાગ્યે કલેકટર કચેરીમાં જ છે અને કલેકટરની ચેમ્બરમાં - ટેબલ ઉપર સાફસફાઈ થઈ રહી છે.(૨-૧૮)

(4:10 pm IST)