રાજકોટ
News of Monday, 16th April 2018

ભાઇના વિયોગમાં મારૂતિનગરમાં ધો-૧૨ની છાત્રા કોમલ ચાવડાએ ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

કોઠારીયા રોડ હુડકો ચોકડી પાછળ બનાવઃ રજપૂત પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૬: કોઠારીયા રોડ હુડકો કવાર્ટર પાછળ મારૂતિનગર-૪/૬ના ખુણે રહેતી કોમલ ભરતભાઇ ચાવડા (ઉ.૧૯) નામની નાડોદા રાજપૂત છાત્રાએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. કોમલે આ વર્ષે જ ધોરણ-૧૨ની પરિક્ષા આપી હતી. અગાઉ તેનો એકનો એક ભાઇ મૃત્યુ પામ્યો હોઇ તેના વિયોગને કારણે આ પગલુ ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

જાણવા મળ્યા મુજબ મારૂતિનગરમાં રહેતી કોમલે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતાં પરિવારજનોને જાણ થતાં તાકીદે  સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કરતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. આપઘાત કરનાર કોમલના પિતા છૂટક કામ કરે છે. તેણી માતા-પિતાની એકની એક પુત્રી હતી અને ધોરણ-૧૨ની પરિક્ષા આપી હતી.

ભકિતનગર પોલીસ મથકને જાણ થતાં પી.એસ.આઇ. એ. વી. પીપરોતરે જરૂરી કાર્યવાહી કરી હતી. તેમની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ કોમલબેનના એકના એક ભાઇનું એકાદ વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. ત્યારથી તે સતત ડિપ્રેશનમાં રહેતી હતી. ભાઇના વિયોગમાં આ પગલું ભરી લીધાનું પરિવારજનોનું માનવું છે. દિકરા બાદ એકની એક દિકરી ગુમાવતાં માતા-પિતા સહિતના સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. (૧૪.૧૨)

(2:00 pm IST)