બાબરાના વાવડી ગામના હીરાઘસુ સુથાર આધેડ જનકભાઇનું કારની ઠોકરે મોત
દેવળીયા કામ પતાવી ઘરે આવતી વખતે રસ્તામાં કાળ ભેટ્યોઃ પરિવારમાં શોક
રાજકોટ તા. ૧૭: બાબરાના વાવડી ગામના ગુર્જર સુથાર આધેડ બાઇક સહિત કારની ઠોકરે ચડી જતાં મોત નિપજ્યું છે. હીરા ઘસવાનું કામ કરતાં આ આધેડ કામેથી ઘરે આવી રહ્યા હતાં ત્યારે દેવળીયા-ધરાઇ વચ્ચે બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ વાવડી રહેતાં અને દેવળીયા ગામે હીરા ઘસવાનું કામ કરવા જતાં જનકભાઇ વેલજીભાઇ પંચાસરા (ઉ.૪૫) નામના ગુર્જર સુથાર આધેડ ગઇકાલે સાંજે કામ પુરૂ કરી વાવડી ઘર તરફ જવા પોતાનું બાઇક લઇને નીકળ્યા હતાં. એ વખતે દેવળીયા અને ધરાઇ વચ્ચેના રસ્તા પર કાર નં. જીજે૩સીએ-૭૭૪૮ની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં બાબરા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.
હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર જનકભાઇ બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. (૧૪.૫)