કોર્પોરેશનની તીજોરીમાં મિલ્કત વેરાના ૨૦૦ કરોડ જમા
રાજકોટ તા. ૧૬ : મહાનગરપાલિકાની મિલકત વેરાની વસૂલાતનો આંક રૂ.૨૦૦ કરોડને પાર પહોંચી ગયો છે અને હવે તંત્ર વર્ષ ૨૦૧૮-૧૯ ના રૂ.૨૫૦ કરોડના લક્ષ્યાંક સુધી પહોંચવા પ્રયત્નશીલ છે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં એમ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેકસના બાકીદારો પાસેથી કરવેરાની બાકી રકમની વસૂલાત કરવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મહાનગરપાલિકાની ટેકસની વસૂલાત આજે રૂ.૨૦૨ કરોડ સુધી પહોંચી ગઈ છે.
કમિશનર બંછાનિધિ પાનીએ વિશેષમાં ઉમેર્યું કે, વિકાસની પ્રક્રિયારૂપી સિક્કાની એક બાજુ તંત્ર અને બીજી બાજુ નાગરિકો રહેલા છે. બનેના અરસપરસ સાથસહકારથી જ ઙ્ગવિકાસ પ્રક્રિયાને ગતિ પ્રદાન કરી શકાશે. શહેરના નાગરિકો તેમની મિલકતોના બાકી કરવેરા આ મહિનાના અંત સુધીમાં ભરપાઈ કરી આકરા કાયદાકીય પગલાંઓથી બચે તેવી જાહેર અપીલ કરવામાં આવે છે.(૨૧.૩૨)